જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સરવે વચ્ચે મુસ્લિમ પક્ષે ઉચ્ચારી બહિષ્કારની ચેતવણી! જાણો શું છે મામલો

જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સરવે વચ્ચે મુસ્લિમ પક્ષે ઉચ્ચારી બહિષ્કારની ચેતવણી! જાણો શું છે મામલો

image : IANS

ઉત્તરપ્રદેશના વારાણસી જિલ્લામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સતત ત્રીજા દિવસે જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મુસ્લિમ પક્ષે સરવેને લઈને ફેલાવવામાં આવી રહેલા ભ્રામક અહેવાલો વચ્ચે સરવેની પ્રક્રિયાનો બહિષ્કાર કરવાની ચેતવણી ઉચ્ચારી હતી. 

સરવેની કામગીરી ચાલી રહી છે 

સરકારી વકીલ રાજેશ મિશ્રાએ કહ્યું કે ASI એ રવિવારે સતત ત્રીજા દિવસે સરવેની કામગીરી હાથ ધરી હતી. સરવેની ટીમ સવારે આઠ વાગ્યે જ્ઞાનવાપી મસ્જિદે પહોંચી ગઈ હતી. સરવેનું કામ સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. બપોરે બે કલાક જમવાના સમયે આ કામગીરી અટકાવાઈ હતી. 

બંને પક્ષો સરવેથી સંતુષ્ટ

હિન્દુ પક્ષના વકીલ સુધીર ત્રિપાઠીએ સરવે માટે મસ્જિદ પરિસરમાં પ્રવેશતા પહેલાં કહ્યું હતું કે ત્રીજા દિવસની કામગીરી શરૂ થઈ ચૂકી છે. શનિવારે સરવે માટે ડીજીપીએસ સહિત અન્ય મશીનોનો ઉપયોગ કરાયો હતો અને આજે રડારનો ઉપયોગ થઈ શકે છે. અત્યાર સુધીના સરવેથી બંને પક્ષો સંતુષ્ટ છે.

મસ્જિદ સમિતિના સચિવે બહિષ્કારની ચેતવણી ઉચ્ચારી 

જ્ઞાનવાપી મસ્જિદની સારસંભાળ કરતી અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ સમિતિના સંયુક્ત સચિવ સૈયદ મોહમ્મદ યાસીને જણાવ્યું કે સરવેને લઇને સુપ્રીમકોર્ટના આદેશ બાદથી મુસ્લિમ પક્ષ બીજા દિવસના સરવેમાં જોડાયું હતું અને આજે પણ અમારા વકીલો સરવેમાં હાજર છે પણ સરવેને લઇને જે પ્રકારની પાયા વગરની અફવાઓ ફેલાવાઈ રહી છે જો તેને અટકાવવામાં નહીં આવે તો મુસ્લિમ પક્ષ આ સરવેનો ફરી બહિષ્કાર કરી શકે છે. 

યાસીને મૂક્યો આરોપ 

યાસીને આરોપ મૂક્યો હતો કે શનિવારે સરવે દરમિયાન અફવા ફેલાવાઈ કે મસ્જિદની અંદર ભોંયરામાં મૂર્તિઓ, ત્રિશૂળ અને કળશ મળ્યા છે. આવી અફવાઓથી મુસ્લિમ સમાજ આહત થયું છે. તેમણે કહ્યું કે આવી હરકતો બંધ થવી જોઈએ. નહીંતર મુસ્લિમ પક્ષ આ સરવેનો ફરી બહિષ્કાર કરી શકે છે. 

Share: