જોશીમઠમાં વધુ બે હોટલો નમી, ગમે ત્યારે એકબીજા સાથે ટકરાવાની સંભાવના

જોશીમઠમાં વધુ બે હોટલો નમી, ગમે ત્યારે એકબીજા સાથે ટકરાવાની સંભાવના
Image Twitter

જોશીમઠ, તા. 16 જાન્યુઆરી 2023, સોમવાર 

ઉત્તરાખંડના જોશીમઠ વિસ્તારમાં અનેક મકાનોમાં લાંબી તિરાડો પડી ગઇ છે. આ સમગ્ર વિસ્તાર જમીનમાં સરકી રહ્યો હોવાથી મકાનોમાં તિરાડો પડી રહી હોવાનો લોકો દાવો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે સરકાર આ વિસ્તારને ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરી ચુકી છે અને મુખ્યમંત્રી પુષ્કર ધામીએ લોકોને ખાતરી આપી છે કે જેમના પણ મકાન ખાલી કરાવવામાં આવ્યા છે જો કે તેમને બજારની કિમતના આધારે જ વળતર આપવાની વાત પણ કરી છે. 

જોશીમઠ વિસ્તારમાં જે લોકોના મકાન વધુ ભયજનક સ્થિતિમાં છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ લોકોનો આરોપ છે કે આ વિસ્તારમાં જે ટનલ બનાવવામાં આવી છે તેને કારણે જમીન સરકી રહી છે અને મકાનો તુટી રહ્યા છે. જોકે આ દાવાને એનટીપીસીએ નકારી દીધો છે, અધિકારીઓએ મંત્રાલયને એક રિપોર્ટ સોપ્યો છે તેમાં કહ્યું છે કે જે વિસ્તારમાં મકાન તુટી રહ્યા છે તે વિસ્તાર ટનલથી એક કિમી દૂર છે અને આ વિસ્તારથી ટનલ જમીનમાં ૬૦૦ મિટર નીચે છે. તેથી ટનલને કારણે આ વિસ્તારમાં તિરાડો નથી પડી રહી.

ઉત્તરાખંડના જોશીમઠમાં આજે બે હોટલો એક બીજા તરફ નમી ગઈ છે. આ બન્ને હોટલો પહેલા 4 ફુટ દુર હતી જે હવે તે ખુબ નજીક આવી જતા બન્ને વચ્ચે માત્ર થોડા ઈંચનું અંતર રહ્યુ છે. આ બન્નેની છતનો ભાગ લગભગ એકબીજા ટકરાવાની તૈયારીમાં છે. એટલે કે આ બન્ને હોટલો ગમે ત્યારે એકબીજા સાથે ટકરાઈ શકે છે. 

સલામતીના ભાગરુપે આ બન્ને હોટલો તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી છે. આ બન્ને હોટલો એ જગ્યા પર છે કે જ્યા હોટલ મલારીઈન અને માઉન્ટ વ્યુથી લગભગ 100 મીટર જ દુર છે. 

Share: