જે.પી.નડ્ડાએ બિનજરૂરી નિવેદનબાજીથી બચવા સાંસદોને આપી કડક સૂચના : બાગેશ્વરી ધામનો પણ કર્યો ઉલ્લેખ

જે.પી.નડ્ડાએ બિનજરૂરી નિવેદનબાજીથી બચવા સાંસદોને આપી કડક સૂચના : બાગેશ્વરી ધામનો પણ કર્યો ઉલ્લેખ
Image – wikipedia

નવી દિલ્હી, તા.17 ફેબ્રુઆરી-2023, શુક્રવાર

ભારતીય જનતા પાર્ટીએ સાંસદોને વિવાદિત અને ધાર્મિક મુદ્દે નિવેદન કરવાથી બચવાનો નિર્દેશ આપ્યો છે. સાંસદોને નિવેદનબાજીથી દૂર રહેવા અને ખાસ કરીને ધાર્મિક મુદ્દે, સનાતન ધર્મ જેવા વિષયો પર નિવેદનથી બચવાનો કડક નિર્દેશ અપાયો છે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ બજેટ અને રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે શુક્રવારે તમામ સાંસદો સાથે ઓનલાઈન બેઠક યોજી હતી. આ બેઠકમાં જે.પી.નડ્ડાએ સાંસદોને કડક નિર્દેશ આપ્યો છે.

પક્ષમાં વ્યવસ્થા મુજબ પાર્ટીના સત્તાવાર પ્રવક્તા જ નિવદેન આપી શકે : નડ્ડા

જે.પી.નડ્ડાએ કેટલીક બાબતો પર નિવેદનથી બચવા સાંસદોને નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, પક્ષમાં એક વ્યવસ્થા છે અને આ વ્યવસ્થા મુજબ આવા મુદ્દાઓ પર પાર્ટીના સત્તાવાર પ્રવક્તા જ નિવેદન આપે છે. નડ્ડાએ કહ્યું કે, ધાર્મિક અને સનાતન ધર્મ જેનો વિષય છે, તે જોશે. રાજકીય લોકોએ આમાં પડવું ન જોઈએ અને બિનજરૂરી નિવેદન પણ આપવું ન જોઈએ. નડ્ડાએ એમ પણ કહ્યું કે, બાગેશ્વર ધામમાં જેની આસ્થા છે, તે નેતા ત્યાં જાય અને બિનજરૂરી નિવેદનથી દૂર રહે.

નિવેદનબાજીથી પક્ષના વરિષ્ઠ નેતા નારાજ

કોઈપણ સાંસદ અને નેતાઓ દ્વારા ધાર્મિક અને વિવાદાસ્પદ બાબતો પર આપવામાં આવતા નિવેદનોથી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ નારાજ છે. જે.પી.નડ્ડાએ ઓનલાઈન બેઠક દરમિયાન સાંસદોને બજેટ, રાષ્ટ્રપતિના અભિભાષણ માટે પ્રજા પાસે જવા તેમજ પ્રેમ કોન્ફરન્સ કરવા નિર્દેશ આપ્યો છે, સાથે જ તેમણે કહ્યું કે, આમ કરવાથી કેન્દ્ર સરકારની જનહિતકારી યોજનાઓની જાણકારી સામાન્ય લોકો સુધી પહોંચાડી શકાશે. જે.પી.નડ્ડાએ સાંસદોને સ્થાનિક સંગઠનોની મદદથી બૂથ અને શક્તિ કેન્દ્ર મજબૂત કરવા તેમજ ખેલ સ્પર્ધા સહિત અન્ય કાર્યક્રમો પણ પૂરા કરવા નિર્દેશ આપ્યો છે.

Share: