જામનગરના કોવિડ ઓમીક્રોન પોઝિટિવ દર્દીના પત્ની અને સાળા પણ ઓમીક્રોન વેરિયન્ટનો શિકાર બન્યા

જામનગરના કોવિડ ઓમીક્રોન પોઝિટિવ દર્દીના પત્ની અને સાળા પણ ઓમીક્રોન વેરિયન્ટનો શિકાર બન્યા

જામનગર, તા. 10 ડિસેમ્બર 2021 શુક્રવાર

જામનગર ના મોરકંડા રોડ પર રહેતા અને ઝિમ્બાબ્વે થી ભારત આવેલા 72 વર્ષીય વૃદ્ધ દર્દી કે જેઓ નવા કોવિડ ઓમીક્રોન વેરિએન્ટ ના શિકાર બની ગયા છે, અને જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. તેમના પરિવારજનોના સેમ્પલો એકત્ર કરવામાં આવતા તેઓને 65 વર્ષીય પત્ની તથા ૫૨ વર્ષીય સાળા કે જે બંને પણ કોરોના ગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું હતું, અને તે બંનેને ઓમીક્રોન વેરિએન્ટમાં શંકાસ્પદ દર્દી ગણીને જામનગરની ડેન્ટલ હોસ્પિટલ માં કોવિડ વિભાગના  દાખલ કરવામાં આવ્યા હતા.

જેઓ ના સેમ્પલ એકત્ર કરીને પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેનો આજે રિપોર્ટ આવ્યો છે, અને તે બન્ને પણ નવા કોવિડ ઓમીક્રોન ના પોઝિટિવ દર્દી બની ગયાનું સામે આવ્યું છે. જેથી જામનગર મહાનગર પાલિકાનું તંત્ર એલર્ટ બની ગયું છે. હાલમાં એક જ પરિવારના ત્રણ સભ્યો ઓમીક્રોન વેરિયન્ટ ના પોઝિટિવ દર્દી હોય તેવો સમગ્ર રાજ્યના પ્રથમ કિસ્સો છે, અને ત્રણેયની સધન સારવાર ચાલુ કરી દેવામાં આવી છે. હાલ ત્રણેયની હાલત સ્થિર છે.

નવાબે કેસને લઇને સમગ્ર રાજ્યભર નું આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે અને આરોગ્ય વિષયક તમામ ચાપતાં પગલાં ભરવામાં આવી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા દર્દીના રહેણાંક મકાનને સીલ કરી દેવાયું છે, તેમજ આસપાસના વિસ્તારને પણ કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કર્યો છે. જેની પણ મુદત લંબાવી દેવામાં આવી છે, અને ફરીથી સેનિટેશન સહિતની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે.

જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં શરૂ કરાયેલા રિલાયન્સ કોવિડ સેન્ટરમાં ઓમીક્રોન ના દર્દી માટે નો નવો વોર્ડ ગઈકાલથી શરૂ કરાયો હતો. જે વોર્ડમાં ત્રણ દર્દીઓને શિફ્ટ કરી દેવામાં આવ્યા છે અને ત્રણેયની સઘન સારવાર ચલાવવામાં આવી રહી છે.

Share: