છત્તીસગઢમાં સૌથી મોટા નક્સલી હુમલાનું કાવતરું નિષ્ફળ, ટ્રેક્ટર ભરીને વિસ્ફોટક સાથે 10ની ધરપકડ

છત્તીસગઢમાં સૌથી મોટા નક્સલી હુમલાનું કાવતરું નિષ્ફળ, ટ્રેક્ટર ભરીને વિસ્ફોટક સાથે 10ની ધરપકડ

image : Twitter

છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર 10 નક્સલીઓની ધરપકડ કરાઈ છે. તેમની પાસેથી ટ્રેક્ટર ભરેલો વિસ્ફોટક મળી આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આટલી મોટી માત્રામાં વિસ્ફોટક મોટા માઓવાદી નેતાઓ માટે લઈ જવામાં આવી રહ્યો હતો. એવી પણ માહિતી મળી છે કે આ વિસ્ફોટક છત્તીસગઢ અથવા તેલંગાણામાં હુમલા માટે ઉપયોગમાં લેવાના હતા. આ વર્ષના સૌથી મોટા નક્સલી હુમલાની તૈયારી હતી. પકડાયેલા નક્સલવાદીઓમાં પાંચ બીજાપુરના રહેવાસી છે. તેલંગાણાની ભદ્રડી કોટ્ટાગુડેમ પોલીસ દ્વારા સરહદી વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ડુમુગુડેમ મંડળમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને પકડ્યા 

તેલંગાણા પોલીસે જણાવ્યું કે અમને માહિતી મળી હતી કે નક્સલવાદી સંગઠનના સભ્યો મુલકાનાપલ્લી અને દુમુગુડેમમાં એક ગુપ્ત સ્થળે વિસ્ફોટકોના મોટા જથ્થા સાથે હાજર છે. તેના આધારે ભદ્રડી કોટ્ટાગુડેમ પોલીસે એક ટીમની રચના કરી હતી જેમાં દુમુગુડેમ પોલીસ અને CRPFની 141મી બટાલિયનના જવાનોનો સમાવેશ થતો હતો. આ પછી જવાનોએ વિસ્તારના ગામો અને તેની બાજુના જંગલોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જેમાં ગામ નજીકથી જ 10 શકમંદો ઝડપાયા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો હતો.

500 ડિટોનેટર, કાર્ડેક્સ વાયરના 90 બંડલ મળી આવ્યા

પોલીસે જણાવ્યું કે જપ્ત કરાયેલ સામાનમાં એક ટ્રેક્ટર, એક બોલેરો વાહન અને બે બાઇકનો સમાવેશ થાય છે. આ વાહનોની તલાશી લેતા વિસ્ફોટકોથી ભરીને ટ્રેક્ટર મળી આવ્યું હતું. જેમાં કાર્ડેક્સ વાયરના લગભગ 90 બંડલ, 500 ડિટોનેટર અને અન્ય વિસ્ફોટક વસ્તુઓ મળી આવી હતી. જે બાદ તમામની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ આરોપીઓમાંથી પાંચ નક્સલવાદીઓ તેલંગાણાના પમેડ વિસ્તારના અને પાંચ છત્તીસગઢના બીજાપુર જિલ્લાના રહેવાસી છે. તમામ આરોપીઓ છેલ્લા ઘણા સમયથી માઓવાદી સંગઠન માટે કામ કરી રહ્યા હતા.

Share: