ચીનની નવી કરતુત : સ્ટેપલ વીઝા જારી કરતા ભારતે તમામ ખેલાડીઓને એરપોર્ટ પરથી પરત બોલાવ્યા

ચીનની નવી કરતુત : સ્ટેપલ વીઝા જારી કરતા ભારતે તમામ ખેલાડીઓને એરપોર્ટ પરથી પરત બોલાવ્યા

નવી દિલ્હી, તા.27 જુલાઈ-2023, ગુરુવાર

ચીનમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ યોજાવાની છે, જોકે તે પહેલા ચીને ભારતીય વુસુ ટીમમાં સામેલ અરૂણાચલ પ્રદેશના ત્રણ ખેલાડીઓનો નોર્મલ વીઝાના બદલે સ્ટેપલ વીઝા જારી કર્યા છે. આ બાબત ધ્યાને આવતા જ ભારતે કડક વલણ અપનાવી વુશુ ટીમના તમામ ખેલાડીઓને એરપોર્ટથી પરત બોલાવી લીધા છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીનનો આ નિર્ણય અસ્વિકાર્ય છે.

ભારત જે વિઝાને મંજૂરી આપતી નથી, તે વિઝા ચીને જારી કર્યા

મળતા અહેવાલો મુજબ ચીનમાં યોજાનારા વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સામેલ થવા 11 સભ્યોની ભારતીય ટીમ મોડી રાત્રે રવાના થવાની હતી. જોકે ટીમને તમામ મંજૂરી મળવા છતાં અધિકારીઓએ તેમને ચીન જવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો… અધિકારીઓએ અરૂણાચલ પ્રદેશના ત્રણ ખેલાડીઓને નોર્મલ વીઝાના બદલે સ્ટેપલ વીઝા જારી કર્યા, જોકે ભારત સરકાર ચીનના સ્ટેપલ વિઝાને મંજૂરી આપતી નથી.

સંપૂર્ણ તૈયાર થયેલા ખેલાડીઓને અચાનક પરત મોકલી દીધા

અહેવાલો મુજબ મોટાભાગના ખેલાડીઓની સુરક્ષા તપાસ પણ પુરી કરી દેવાઈ હતી અને તેઓ ગુરુવારે સવારે ચીન જવા માટે રવાના થવાના હતા… આ તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ અચાનક ચીનના અધિકારીઓએ તમામ ખેલાડીઓને પરત ફરવા માટે કહ્યું…

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, ચીનનું આ પગલું અસ્વિકાર્ય

આ મામલો સામે આવ્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અમારા ધ્યાને આવ્યું છે કે, ચીનમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા અમારા કેટલાક ખેલાડીઓને ચીને સ્ટેપલ વિઝા જારી કર્યા હતા, જે અસ્વીકાર્ય છે. અમે આ મુદ્દે ચીની સત્તાવાળાઓ સમક્ષ અમારો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્ટેપલ વિઝાના મુદ્દે અમારું વલણ સ્પષ્ટ છે. અમે વિઝા આપવામાં જાતિ અથવા સ્થાનના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ સ્વીકારતા નથી. આવા પ્રકારની કાર્યવાહી પર યોગ્ય પ્રતિક્રિયા આપવાનો ભારતને અધિકાર છે.

સ્ટેપલ વિઝા અને નોર્મલ વીઝા એટલે શું ?

સ્ટેપલ વિઝા એટલે પાસપોર્ટ સાથે એક અન્ય કાગળ સ્ટેપલરથી જોડવામાં આવે છે. જ્યારે નોર્મલ વીઝામાં આવું કરાતું નથી. સ્ટેપલ વીઝા ધરાવતો વ્યક્તિ પોતાનું કામ પૂર્ણ કરી પરત આવે છે, ત્યારે સ્ટેપલ વીઝા, એન્ટ્રી અને એક્ઝિટ ટિકિટને ફાડી નાખવામાં આવે છે. એટલે કે, વ્યક્તિના પાસપોર્ટ પર આ પ્રવાસની કોઈ વિગતો નોંધવામાં આવતી નથી. જ્યારે નોર્મલ વીઝામાં પ્રવાસની વિગતો નોંધવામાં આવે છે.

Share: