ચીનઃ શાળાઓમાં ભણાવવામાં આવશે રાષ્ટ્રપતિ શી જિનપિંગના વિચાર, પ્રાથમિકથી વિશ્વવિદ્યાલય સ્તર સુધી પાઠ્યક્રમ થશે લાગુ

ચીનઃ શાળાઓમાં ભણાવવામાં આવશે રાષ્ટ્રપતિ શી જિનપિંગના વિચાર, પ્રાથમિકથી વિશ્વવિદ્યાલય સ્તર સુધી પાઠ્યક્રમ થશે લાગુ


– દિશાનિર્દેશોનો ઉદ્દેશ્ય નવી શિક્ષણ સામગ્રી અંતર્ગત યુવાનોમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવાનો તથા પાર્ટીને સાંભળવાનો અને તેના ઉદ્દેશ્યો પૂરા કરવાનો છે

નવી દિલ્હી, તા. 25 ઓગષ્ટ, 2021, બુધવાર

ચીને પોતાના રાષ્ટ્રીય પાઠ્યક્રમમાં ભારે મોટો ફેરફાર કર્યો છે. હવે ત્યાંની પ્રાથમિક સ્તરની શાળાઓથી લઈને વિશ્વવિદ્યાલય સુધી રાષ્ટ્રપતિ શી જિનપિંગ અંગે ભણાવવામાં આવશે. ચીનના દરેક યુવાનો માટે શી જિનપિંગના સમાજવાદ અંગેના વિચારો ભણવા ફરજિયાત થઈ જશે. 

માર્ક્સવાદી વિચારધારા સ્થાપિત થશે

ચીનના શિક્ષણ મંત્રીએ મંગળવારે જણાવ્યું કે, શી જિનપિંગના વિચારોને રાષ્ટ્રીય પાઠ્યક્રમમાં સામેલ કરવાથી યુવાનોમાં માર્ક્સવાદી વિચારધારા સ્થાપિત કરવામાં મદદ મળશે. આ માટે નવી ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, પ્રાથમિક સ્તરથી લઈને વિશ્વવિદ્યાલય સુધી નવા યુગમાં ચીનની વિશેષતાઓ વચ્ચે સમાજવાદ પર શી જિનપિંગના વિચારો ભણાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, દિશાનિર્દેશોનો ઉદ્દેશ્ય નવી શિક્ષણ સામગ્રી અંતર્ગત યુવાનોમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવાનો તથા પાર્ટીને સાંભળવાનો અને તેના ઉદ્દેશ્યો પૂરા કરવાનો છે. 

2012માં સત્તામાં આવ્યા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સત્તારૂઢ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની ભૂમિકાને સમાજ, ઉદ્યોગો, સંસ્કૃતિ અને શાળાઓમાં વધારવા માટે જોર આપ્યું છે. નવા યુગમાં ચીની સંસ્કૃતિ વચ્ચે સમાજવાદ પર શી જિનપિંગના વિચાર પાઠ્યક્રમને 2018માં બંધારણમાં ગર્ભિત કરવામાં આવ્યા હતા. 

Share: