ચાની લારી પર શ્રધ્ધાકરે પ્રદિપ નાયકને રૃ.7 લાખમાં પેપર વેચ્યું હતું

ચાની લારી પર શ્રધ્ધાકરે પ્રદિપ નાયકને રૃ.7 લાખમાં પેપર વેચ્યું હતું


વડોદરા : એટીએસ દ્વારા આરોપીઓના રિમાન્ડ વખતે કોર્ટમાં રજૂ કરાયેલી માહિતી અનુસાર પેપર લીક કૌભાંડની શરૃઆત હૈદ્રાબાદના જ્યુબિલી હિલ વિસ્તારમાં રોડ નં.૩૬ પર આવેલા કે.એલ.હાઇટેક પ્રિન્ટિંગ પ્રેસ બહાર આવેલી ચાની લારી પરથી થઇ હતી.

પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો શ્રધ્ધાકર લુહા અને પ્રદિપ નાયકની ૨૦ દિવસ પહેલા પ્રેસની બહાર આવેલી ચાની લારી પર મુલાકાત થઇ હતી અને બન્ને વચ્ચે નક્કી થયા મુજબ શ્રધ્ધાકર લુહાએ રૃ. ૭ લાખ લઇને પેપરની કોપી પ્રદિપ નાયકને આપી હતી. ૭ લાખમાં ખરીદેલું પેપર પ્રદિપ નાયકે મુરારી પાસવાન અને નરેશ મોહંતીને પાંચ-પાંચ લાખ રૃપિયામાં આપવાનું નક્કી કર્યુ હતુ. મુરારી પાસવાને કમલેશ ભીખારીને રૃ. ૬ લાખમાં અને કમલેશ ભીખારીએ આ પ્રશ્નપત્ર મોહંમદ ફિરોઝને સાત લાખમાં આપવાનું નક્કી કર્યુ હતુ તો મોહંમદ ફિરોઝે આ પેપર સર્વેશને ૮ લાખમાં અને સર્વેશે આ પેપર મુકેશ તથા મિન્ટુને ૯-૯ લાખમાં વેચવાનું નક્કી કર્યુ હતું. 

પેપર લઇને પ્રદીપ વડોદરાની સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફિસમાં આવીને ભાસ્કર ચૌધરીને આપવાનો હતો અને અહીથી પેપરનું વેચાણ થવાનું હતું

પેપર વેચવાની આ લિન્ક સતત આગળ વધતી ગઇ હતી અને મિન્ટુએ જે પેપર માટે ૯ લાખ આપવાનો વાયદો કર્યો હતો એ પેપર મિન્ટુએ વડોદરાના ભાસ્કર ચૌૈધરીને ૧૦ લાખમાં આપવાનું નક્કી કર્યુ હતુ અને ભાસ્કર ચૌધરીએ આ પેપર કેતન બારોટ, રાજ બારોટ, અનિકેત ભટ્ટ, ચિરાયુ તથા ઇમરાનને ૧૧-૧૧ લાખમાં વેચવાનું નક્કી કર્યુ હતુ. તો કેતન બારોટ, રાજ બારોટ અને અનિકેત ભટ્ટે આ પેપર હાર્દિક શર્મા અને પ્રણય શર્માને ૧૨ લાખમા વેચવાનું નક્કી કર્યુ હતુ. 

તો નરેશ મોહંતી આ પેપર તેના ઓળખીતાઓને રૃ. ૬ લાખમાં વેચવાનો હતો તથા મુકેશ કુમાર અને પ્રભાતકુમાર તેના ઓળખીતાઓને આ પેપર ૧૦ લાખમાં વેચવાના હતા.

પ્લાન એવો હતો કે પ્રિન્ટિંગ પ્રેસના લેબર શ્રધ્ધાકર પાસેથી પેપર ખરીદનાર પ્રદીપ નાયક વડોદરા ખાતે અટલાદરા-બીલ રોડ પર આવેલ પ્રમુખ બજાર બિલ્ડિંગના ત્રીજા માળે સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફિસમાં આવીને ભાસ્કર ચૌધરીને આ પેપર આપવાનો હતો અને અહી ઝેરોક્સ કરાવીને પેપરનો વેપાર કરવાનો હતો પરંતુ તે પહેલા એટીએસ ત્રાટકી હતી અને તમામને ઝડપી લીધા હતા.

Share: