ગ્રીષ્મા હત્યા કેસ સજાની સુનાવણીઃ આગામી 26 એપ્રિલના રોજ વધુ દલીલો થશે

ગ્રીષ્મા હત્યા કેસ સજાની સુનાવણીઃ આગામી 26 એપ્રિલના રોજ વધુ દલીલો થશે


– કોર્ટમાં આજે બંને પક્ષના વકીલોની દલીલ પૂર્ણ થઈ 

સુરત, તા. 22 એપ્રિલ 2022, શુક્રવાર

સુરત ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે આજની કાર્યવાહી દરમિયાન બંને પક્ષના વકીલોની દલીલો પૂર્ણ થઈ હતી અને આગામી 26 એપ્રિલના રોજ ફરી વધુ દલીલો સાથે સુનાવણી થશે.

હત્યા કેસમાં સજાની સુનાવણી દરમિયાન કોર્ટે ફેનીલને સવાલ કર્યો હતો કે, ‘તમને મૃત્યુદંડ શા માટે ન આપવામાં આવે?’ ઉલ્લેખનીય છે કે, ગ્રીષ્મા હત્યા કેસ મામલે ગ્રીષ્માનો પરિવાર આરોપીને ફાંસીની સજા આપવા માગણી કરી રહ્યો છે. 

ગઈકાલે એટલે કે, ગુરૂવારના રોજ ફેનીલને હત્યા કેસ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. કેસની વિગતો પ્રમાણે ગત 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરા ખાતે ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. સુરત કોર્ટ ખાતે 25મી ફેબ્રુઆરીથી સુનાવણી શરૂ કરવામાં આવી હતી. 

Share: