ગોરખપુરઃ પાકિસ્તાનનો ઝંડો ફરકાવવાના આરોપસર 4 લોકો પર દેશદ્રોહનો કેસ દાખલ, નારાજ લોકોએ કર્યો પથ્થરમારો

ગોરખપુરઃ પાકિસ્તાનનો ઝંડો ફરકાવવાના આરોપસર 4 લોકો પર દેશદ્રોહનો કેસ દાખલ, નારાજ લોકોએ કર્યો પથ્થરમારો


– આરોપીઓના પરિવારજનોના કહેવા પ્રમાણે તે ઝંડો ધાર્મિક હતો અને આ મુદ્દો કારણ વગર ચગાવવામાં આવી રહ્યો છે

નવી દિલ્હી, તા. 11 નવેમ્બર, 2021, ગુરૂવાર

ગોરખપુર જિલ્લાની ચૌરીચૌરા નગર પંચાયત મુંડેરા બજારના વોર્ડ નંબર-10 સ્થિત નિરાલાનગરના એક મકાનની છત પર પાકિસ્તાનનો ઝંડો ફરકાવવાના આરોપસર તાલીમ, પપ્પૂ, આશિક અને આરિફ નામના 4 લોકો વિરૂદ્ધ દેશદ્રોહની કલમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે એક આરોપીને કસ્ટડીમાં લીધો છે. બબાલ અને હંગામા બાદ પોલીસે તે વિસ્તારની સુરક્ષા વધારી દીધી છે. આ તરફ આરોપીઓના પરિવારજનોના કહેવા પ્રમાણે તે ઝંડો ધાર્મિક હતો અને આ મુદ્દો કારણ વગર ચગાવવામાં આવી રહ્યો છે. 

બ્રાહ્મણ કલ્યાણ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પંડિત કલ્યાણ પાંડેની ફરિયાદ પ્રમાણે ચૌરીચૌરા ક્ષેત્રમાં વોર્ડ નંબર 10ના નિવાસી તાલિબે પોતાના મકાનની છત પર પાકિસ્તાનનો ઝંડો લહેરાવ્યો હતો. કોઈએ તેનો ફોટો પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. 

વાયરલ ફોટો જોઈને વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ) નેતા અમિત વર્મા, આરએસએસના વીરેન્દ્ર સહિત તમામ ભાજપના નેતાઓ અને કાર્યકરો પહોંચી ગયા હતા. તે સિવાય આજુબાજુના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને સૌ નારાબાજી કરવા લાગ્યા હતા. ઉપરાંત પથ્થરમારો કરીને એક વાહનનો કાચ પણ તોડી દેવામાં આવ્યો હતો. ભીડની ઉગ્રતા જોઈને તાલિબે ઘરની છત પરથી ઝંડો ઉતારી લીધો હતો. 

Share: