×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુટખાના પ્રચાર બદલ બચ્ચન, શાહરુખ, અજય, સૈફ સહિતના કલાકારો સામે કાર્યવાહીની માગ


- પદ્મશ્રી કલાકારો દ્વારા પ્રચાર મુદ્દે અલ્લાહાબાદ હાઇકોર્ટની નોટિસ 

- નુકસાનકારક વસ્તુઓની જાહેરાતોથી મેળવેલા પૈસાની ડબલ રકમ વસુલવા માગ, કોર્ટની અવમાનનાનો પણ આરોપ

લખનઉ : બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, અજય દેવગન, અક્ષય કુમાર, સૈફ અલી ખાન સામે કાર્યવાહીની માગ કરતી અરજી ઉત્તર પ્રદેશની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં થઇ છે. જેમાં આ અભિનેતાઓ દ્વારા ગુટખા, તમ્બાકુનો પ્રચાર કરવાનો અને કોર્ટની અવમાનનાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અભિનેતાઓમાં કેટલાક પદ્મશ્રી વિજેતા પણ છે. પરીણામે હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી આ મામલે જવાબ માગ્યો છે.  

ઇલાહાબાદ હાઇકોર્ટે ગયા વર્ષે આ પ્રકારના તમ્બાકુ, ગુટખા, સિગારેટ વગેરેના પ્રચારને રોકવા માટે આદેશ આપ્યો હતો, જેનું પાલન ન કરીને કોર્ટની અવમાનના થઇ હોવાનો દાવો વકીલ દ્વારા દાખલ અરજીમાં કરવામાં આવ્યો છે. વકીલ મોતીલાલ યાદવે હાઇકોર્ટને જણાવ્યું હતું કે હાઇકોર્ટનો આદેશ હોવા છતા તેનું પાલન કરાવવામાં નથી આવી રહ્યું. માટે જે પણ અભિનેતાઓ દ્વારા આ પ્રકારની જાહેરાતો કરવામાં આવી રહી હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એવા અભિનેતાઓની સામે કાર્યવાહીની માગણી કરાઇ છે કે જેમને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હોય અને ગુટખાની જાહેરાત કરતા હોય. 

હાઇકોર્ટે વકીલની દલિલોને માન્ય રાખીને હાલ કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ, મુખ્ય કમિશનર, કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા ઓથોરિટીને કોર્ટની અવમાનનાની નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે. અરજદારે આવી જાહેરાતો આપતી કેટલી ગુટખા કંપનીઓને પણ પક્ષકાર બનાવી છે. અગાઉ ૨૦૨૨માં આ વકીલે ઇલાહાબાદ હાઇકોર્ટમાં સૌથી પહેલા અરજી કરી હતી, જેમાં તેમણે પદ્મ એવોર્ડથી સન્માનીત કરાયેલી એવી સેલિબ્રિટી સામે સવાલો ઉઠાવ્યા હતા કે જેઓ ગુટખા સહિતની સ્વાસ્થ્ય માટે હાનીકારક વસ્તુઓની જાહેરાતો કરતા હોય છે. 

જેમાં અરજદારે આવા લોકોને દંડ ફટકારવા કેન્દ્રીય ગ્રાહક સપુરક્ષા ઓથોરિટીને આદેશ આપવાની માગ કરી હતી. ગુટખાની જાહેરાતોથી જેટલી કમાણી કરી હોય તેનાથી ડબલ રકમ કેન્દ્ર સરકાર સમક્ષ જમા કરાવવા માગ કરી હતી. બાદમાં હાઇકોર્ટે અરજદારને કહ્યું હતું કે તેઓ આ ફરિયાદ કેન્દ્ર સરકારની ઓથોરિટી સમક્ષ ઉઠાવે, જેને પગલે અરજદાર વકીલે કેન્દ્ર સરકાર હસ્તકની ઓથોરિટી સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો, જોકે તેનું પાલન ન થયું હોવાનો તાજેતરની અરજીમાં દાવો કર્યો છે. જેને પગલે હાઇકોર્ટે હવે કેન્દ્ર સરકાર હસ્તકના જવાબદાર અધિકારીઓ અને ઓથોરિટીને કોર્ટની અવમાનનાની નોટિસ મોકલી છે.