ગુજરાતની ચૂંટણીમાં પાટીદારો કોની સાથે ? 40 બેઠકો પર જોવા મળી શકે છે અસર

ગુજરાતની ચૂંટણીમાં પાટીદારો કોની સાથે ?  40 બેઠકો પર જોવા મળી શકે છે અસર

અમદાવાદ, તા.12 ડિસેમ્બર-2022, રવિવાર

ગુજરાતમાં ફરી એક વાર પક્ષોની નજર પાટીદાર સમાજ પર છે. કારણ કે આ સમુદાયે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની જીતનો રસ્તો અઘરો કરી દીધો હતો. પાટીદાર સમાજને અન્ય પછાત વર્ગ (ઓબીસી)નો દરજ્જો આપવાની માંગને લઈને હાર્દિક પટેલની આગેવાની હેઠળ થયેલા આંદોલનની અસર છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી હતી.

નિષ્ણાતોનું માનવું છે કે, મોટાભાગના પાટીદાર સમાજના મતદારો આ વખેત ભાજપને વોટ આપશે, જ્યારે અનામતની માંગ કરી રહેલા આંદોલનના પૂર્વ નેતાઓનું માનવું છે કે, પાટીદાર સમાજના ઘણા યુવા મતદારો આમ આદમી પાર્ટી (AAP) જેવા અન્ય વિકલ્પો વિચારી શકે છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 150 બેઠકો જીતવાનો લક્ષ્યાંક છતાં ભાજપ માત્ર 99 બેઠકો જ મેળવી શકી હતી. ભાજપ સામે હાર્દિક પટેલના ધુઆધાર ચૂંટણી પ્રચારના કારણે વિપક્ષ કોંગ્રેસે 77 બેઠકો જીત મેળવી હોવાનું મનાય છે.

40 બેઠકો પર પાટીદાર મતદારો મહત્વની ભૂમિકામાં

પાટીદાર સમાજના અનુમાન મુજબ, ગુજરાતમાં લગભગ 40 બેઠકો એવી છે, જ્યાં પાટીદાર મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. 50 બેઠકો પર પોતાનો દબદબો હોવાના સમાજના કેટલાક નેતાઓનો દાવો છે. જોકે ગુજરાતની જનસંખ્યામાં પટેલોની સંખ્યા લગભગ 18 ટકા છે, પરંતુ 2017માં 44 પાટીદાર ધારાસભ્યોને ચૂંટવામાં આવ્યા, જે ગુજરાતના રાજકારણમાં પોતાનો પ્રભાવ દર્શાવે છે. 

પાટીદાર મતદારોની સંખ્યા સૌરાષ્ટ્રમાં વધુ

પાટીદાર મતદારોની સંખ્યા સૌરાષ્ટ્રમાં વધુ છે, જેમાં મોરબી, ટંકારા, ગોંડલ, ધોરાજી, અમરેલી, સાવરકુંડલા, જેતપુર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ અને રાજકોટ દક્ષિમ બેઠકો સામેલ છે, તો ઉત્તર ગુજરાતમાં વીજાપુર, વિસનગર, મહેસાણા અને ઊંઝામાં પાટીદાર મતદારોની સંખ્યા સારી એવી છે, જ્યારે અમદાવાદની પાંચ બેઠકો ઘાટલોડિયા, સાબરમતી, મણિનગર, નિકોલ અને નરોડામાં પાટીદારોની સંખ્યા વધુ છે.

સુરત શહેરની ઘણી બેઠકો પાટીદારનો ગઢ

દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરની ઘણી બેઠકોને પાટીદાર સમાજનો ગઢ માનવામાં આવે છે, જેમાં વરાછા, કામરેજ અને કટારગામ સામેલ છે. ઘણા લોકોનું માનવું છે કે, પાટીદાર અનામત આંદોલન અને તેની સાથે જોડાયેલા કેટલાક લોકોના રોષને કારણે 2017ની ચૂંટણીમાં ઘણી પાટીદાર બેઠકો પર ભાજપને હાર જોવી પડી. આમાં મહેસાણા જિલ્લાની ઊંઝા અને સૌરાષ્ટ્રની મોરબી અને ટંકારા બેઠક સામેલ છે. તો આ ચૂંટણીમાં ભાજપે 41 પાટીદારોને ટિકિટ આપી છે, તો કોંગ્રેસે 40 પાટીદારોને ટિકિટ આપી છે, તો આમ આદમી પક્ષે પણ ઘણા પાટીદારોને ટીકીટ આપી છે.

નિષ્ણાંતોનું માનવં છે કે, આ વખતની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની કોઈ અસર જોવા મળી રહી નથી. ભાજપે ગત વર્ષે ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી પાટીદાર સમાજને મનાવવાનો પ્રયાસ કર્યો હતો અને જાહેરાત કરી હતી કે, ચૂંટણી બાદ ભુપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી પદે રહેશે, તેથી કેટલાક પાટીદારો એવું વિચારતા હશે કે, પોતે પોતાના સમાજમાંથી એક મુખ્યમંત્રીને જોવા ઈચ્છે છે, તો આ વખતે ભાજપને સમર્થન આપવું પડશે.

ગુજરાતની જનસંખ્યામાં પટેલોની સંખ્યા 18 ટકા

જામનગરના સિદસર ઉમિયાધામ ટ્રસ્ટના અધ્યક્ષ જયરામ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતની જનસંખ્યામાં પાટીદારોની સંખ્યા 18 ટકા છે, જોકે પાટીદારો પોતાની જનસંખ્યાથી વધુ પ્રભાવ પાડે છે. તો કોંગ્રેસને પણ પટેલોનું સમર્થન મળવાની આશા છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, ખેડૂતોની દશા, મોંઘવારી, બેરોજગારી, વધુ પડતી સ્કૂલ ફી, ખરાબ આરોગ્ય સુવિધાઓથી તમામ લોકો પરેશાન છે, જેના કારણે અમને માત્ર પાટીદાર જ નહીં તમામ સમાજના લોકોનું સમર્થન મળવાની આશા છે.

તો ગુજરાત ભાજપના પ્રવક્તા કિશોર  મકવાણાએ કહ્યું, પાટીદારો હંમેશા ભાજપની સાથે રહ્યા છે. તેમના સમર્થનથી ભાજપ ગત તમામ રેકોર્ડો તોડી દેશે અને ચૂંટણી બાદ સરકાર બનાવશે. જોકે પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક દિનેશ બંભાનિયાએ દાવો કર્યો છે કે, યુવા પટેલ મતદારો નવો વિકલ્પ શોધી રહ્યા છે અને આ વખતે આપનું સમર્થન કરી શકે છે.

Share: