ગાંધીનું ગ્રામવિકાસનું સપનું પુરૂં કરવાનું છે : મોદી

ગાંધીનું ગ્રામવિકાસનું સપનું પુરૂં કરવાનું છે : મોદી


વિકસિત ગામડાના નિર્માણ માટે પંચાયતના સભ્યોને વડાપ્રધાનનો ગુરૂમંત્ર 

પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધીની કડીના દર્શન કરવાની તક મળી

બધાય સંકલ્પ કરે તો દેશમાંથી ગરીબી ઉભી પૂંછડીએ ભાગી જાય

અમદાવાદમાં પંચાયતના મહાસંમેલનમાં વડાપ્રધાને સમરસ પંચાયતની મહિલા સરપંચોનું સન્માન કર્યુ

મારૂં ગામની મમતા જાગશે તો ગામડંુ પ્રગતિની નવી ઉંચાઇ પહોચશે ગામડાના લોકોને અભિનંદન, કોરોનાને ગામડામાં પ્રવેશવા દીધો નહીં

અમદાવાદ : અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર આયોજીત પંચાયત મહાસેમેલનનો સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  સમક્ષ અને મજબૂત ગામડાના નિર્માણ માટે ચૂંટાયેલાં તાલુકા,જિલ્લા અને ગ્રામ પંચાયતના  સભ્યોને ગુરૂમંત્ર આપતાં જણાવ્યું કે,મહાત્મા ગાંધીએ હંમેશા ગ્રામિણ વિકાસ,આત્મનિર્ભર ગામ,સશક્ત અને સમર્થ ગામની વાત કહી હતી.

આજે જયારે દશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે આપણે સૌએ મહાત્મા ગાંધીનું ગ્રામિણ વિકાસનુ સપનું પૂર્ણ કરવાનું છે.આઝાદીની લડાઇમાં જેમણે સપના જોઇને જીવન સમર્પિત કરી દીધા છે તેમના સપના આપણે સાકાર કરવા જોઇએ.

ગ્રામ સ્વરાજના સપનુ પૂર્ણ કરવા પંચાયતી રાજ વ્યવસૃથાએ એક મહત્વપૂર્ણ વ્યવસૃથા છે.જે દેશની સિમાચિન્હ અને પ્રેરકરૂપ બનશે. વડાપ્રધાને ગુજરાતની સમરસ ગ્રામ પંચાયતની મહિલા સરપંચોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી હતી. આ  ઉપરાંત પંચાયતી રાજની કોફી ટેબલ બુકનું વિમોચન પણ કર્યુ હતું. 

ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર વિશાળ જનસંમેલનને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગામડાની જનતાને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, બે વર્ષથી કોરોનાએ  આખીય માનવજાતને ચિંતામાં મૂકી દીધી હતી. પણ કોરોનાને ભારતના ગામડાઓ સુધી પહોચતા ફીણ આવી ગયા હતાં તેનુ કારણ એ હતુંકે, ગામડાના લોકોએ જે જાગૃતિ દેખાડી તે કાબિલેદાદ હતી.

જેમકે, બહારના લોકોને ગામમાં આવવા દીધા નહી. સોશિયલ ડિસટન્સ જાળવી રાખ્યુ અને પોતાની સુઝબુઝ પ્રમાણે નિયમો બનાવ્યા.આ મહામારીને રોકવામાં ગામડાની જનતા ખૂબ સફળતા મેળવી હતી. સાથે સાથે ખેડૂતો પણ પ્રશંસાને પાત્ર છે કેમકે, કોરોનાના સમયમાં ય તેમણે પાછીપાની કરી ન હતી.અન્નભંડાર ભરવામાં ખેડૂતોએ કોઇ કસર છોડી ન હતી. 

સમરસ ગ્રામ પંચાયતનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું કે, કદાચ દેશના લોકોને જાણ નહી હોયકે, ગુજરાતમાં પંચાયતોમાં પુરૂષો કરતાં મહિલાઓનુ પ્રતિનિધીત્વ વધુ છે.હું જયારે નાનો હતો ત્યારે મે આચાર્ય વિનોબાજીના પ્રવચનો વાંચ્યા હતાં.

એ વખતે મારા ગામમાં સર્વોદયની પ્રવૃતિ સાથે જોડાયેલાં દ્વારકાદાસ જોશીના મુખે મે વાત સાંભળી હતીકે, ગામમાં લોકસભા ચૂંટણી થાય ઝાઝો વાંધો ન આવે. કે વિધાનસભાની બે પક્ષો સામસામે આવે તો વાંધો નહીં, પણ ગામડામાં પંચાયતની ચૂંટણી થાય ત્યારે એવા ય વેરના વાવેતર થાય છે.

દિકરી સાસરેથી પાછી આવે, લોકો એકબીજાથી બોલે નહી. ત્યારે વિનોબાજી કહેતાં કે, લોકશાહીની એવી ઉંચાઇ હોવી જોઇએ કે,બધાય ભેગા મળીને પ્રતિનિધી નક્કી કરે, ગામડામાં ચૂંટણીની જરૂર જ નથી.

વડાપ્રધાને એક પ્રેરક કિસ્સો કહ્યો કે, મુખ્યમંત્રી તરીકે મારી પહેલી ટર્મ હતી ત્યારે મધ્ય ગુજરાતથી કેટલીક બહેનો મને મળવા આવી હતી ત્યારે મે પૂછ્યુકે, તમારે ત્યાં કોઇ પુરૂષ નથી ત્યારે મહિલાઓએ જવાબ આપ્યોકે, એટલે જ તમને મળવા આવ્યા છીએ. હું મહિલા સરપંચને મળ્યો જે પાચમુ ધોરણ ભણેલા હતાં.

મે પુછયુકે, તમે જીતી તો ગયા હવે શુ કરશો, ત્યાતે મહિલા સરપંચે જવાબ આપ્યોકે, સાહેબ,અમારી ઇચ્છા છેકે, અમારા ગામમાં કોઇ ગરીબ રહે નહીં, દરેક વ્યક્તિ સાંજ પડે મહેનતનુ કમાઇ શકે. જો બધાય આ સંકલ્પ કરે તો દેશમાંથી ગરીબી ઉભી પૂંછડીએ ભાગે. કદાચ દોઢ લાખથી વધુ ચૂંટાયેલાં જનપ્રતિનીધીઓ ગુજરાતના ઉજજવળ ભવિષ્યની ચર્ચા કરે તો આનાથી માટો અવસર શું હોઇ શકે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચાયત મહાસંમેલનના પ્રસંગને એક અનેરો અવસર ગણાવીને જણાવ્યું કે, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પંચાયતની ગ્રાન્ટમાં વધારો કરીને ગામડાના વિકાસને વધુ વેગવંતો બનાવ્યો છે. તમારા કાર્યકાળમાં શરૂ થયેલી ગ્રામસભાનો સિલસીલો આજેય યથાવત રહ્યો છે.

ઇ ગ્રામના માધ્યમથી ગામડાની જનતા લાભ લઇ રહી છે. આવકના દાખલો ત્રણ વર્ષ સુધી માન્ય રાખવાનો નિર્ણય લેવાયો છે. 4 હજારથી વધુ ગામડાઓમાં વાઇફાઇ શરૂ કરવા નક્કી કરાયુ છે.ડાંગ આજે પ્રાકુૃતિક જિલ્લો બન્યોછે. પંચાયત મંત્રી બ્રિજેશ મેરઝાએ સ્વાગત પ્રવચન કરીને મહાનુભાવોને આવકાર્યા હતાં.

પતિ નહીં, તમે ખુદ સરપંચ રહીને કામ કરો : મોદી

નરેન્દ્ર મોદીએ એક કિસ્સો વર્ણવ્યો કે,હુ જયારે હરિયાણામાં કામ કરતો હતો ત્યારે પાર્ટીમાંથી ચૂંટાયેલાં લોકો પોતાનો પરિચય આપતા હતાં. બધા પોતાની જાતને એસપી કહેતાં હતાં. મને એસપી શબ્દ સાંભળીને ખુબ નવાઇ લાગી હતી.મે એસપીનો આૃર્થ પૂછ્યો તો, ખબર પડીકે, સરપંચ પતિ.

નરેન્દ્ર મોદીએ મહિલા સરપંચોને ખાસ કહ્યું કે, ગુજરાતમાં આવુ થવા દેવાનુ નથી. તમે ખુદ સરપંચ રહીને કામ કરો. મહિલાઓમાં ઘણી ક્ષમતા રહેલી છે. ઓલિમ્પિકમાં જુઓ,મહિલાઓ દેશનું નામ રોશન કરી રહી છે. પરિક્ષાઓમાં દિકરીઓ નામના મેળવી રહી છે. જયારે મારૂ ગામ એ મમતાની ભાવના જાગશે તો ગામડુ નવી ઉંચાઇએ પહોંચશે. 

નવાં ગામડાંના નિર્માણ માટે મોદીની ટિપ્સ

ગામમાં શાળાનો જન્મદિન ઉજવો પ્રભાતફેરી કરો, બોરીબંધ બાંધો

તમારા સરપંચ-સભ્યના કાર્યકાળમાં પ્રજાલક્ષી એવા કાર્ય કરો કે, આવનારી પેઢી યાદ કરે

અમદાવાદ : નવા ગામડાના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટાયેલાં પ્રતિનીધીઓને ટિપ્સ આપી હતી કે, દરેક ગામમાં શાળાનો જન્મદિન ઉજવવો જોઇએ. પાણીની અછત સર્જાઇ રહી છે ત્યારે દરેક ગામમાં બોરીબંધ બાંધવા જોઇએ જેથી ચોમાસાના વેડફાતા પાણીનો જમીનમાં  સંગ્રહ કરી શકાય. ટૂંકમાં, મોદીએ સરપંચ-સભ્યોને એવી શીખ આપીકે, તમારા કાર્યકાળમાં એવા કામો કરોકે, આવનારી પેઢી તમને યાદ કરે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહયુંકે,નાના કામો કરવામાં આવે તો ગામડામાં ઘણું મોટુ પરિવર્તન થઇ શકે છે જેમકે,…

* દરેક ગામમાં શાળાનો જન્મદિવસ ઉજવવો જોઇએ.શાળામાં સાફસફાઇ ના કાર્યક્રમ કરવા જોઇએ. ચૂંટાયેલા સભ્યો રોજરોજ શાળામાં જઇને શિક્ષક કેવુ ભણાવે, બાળકોની હાજરી કેટલી છે તે તમામ બાબતે તપાસ કરવી જોઇએ.

* દરેક ગામમાં 75 પ્રભાતફેરી યોજવી જોઇએ. ગામના લોકોએ એકત્ર થઇને ત્રિરંગા સાથે પ્રભાત ફેરી કરવી જોઇએ. મહાત્મા ગાંધી, સરદાર પટેલ,ભગતસિંહ સહિતના દેશભક્તોએ દેશ માટે શું શુ કર્યુ તે અંગે લોકોને સમજ આપવી જોઇએ.

*  દરેક ગામમાં કોઇ એક સૃથળે 75 વૃક્ષો વાવવા જોઇએ. આઝાદીના 75 વર્ષ વર્ષ પુર્ણ થયા છે ત્યારે તેની યાદમાં એક બગીચો બનાવવો જોઇએ.

* દરેક ગામમાં 75 ખેડૂતો નક્કી કરે કે તેઓ પ્રાકૃતિક ખેતી કરશે. કેમિકલયુક્ત ખાતરથી જમીનનુ નિકંદન નિકળી રહ્યુ છે ત્યારે ધરતી માતાને બચાવવાની જવાબદારી આપણા શિરે છે. 

* દરેક ગામમાં બોરીબંધ બાંધવા જોઇએ. વરસાદના પાણીનો સદપયોગ થાય અને જમીનમાં પાણીનો સંગ્રહ થાય તે માટે ગામની આસપાસના પાણીના વહેણમાં બોરીબંધ બાંધો.

* એલઇડી બલ્બનો વધુ ઉપયોગ કરો જેથી વિજળીના બિલમાં રાહત મળે.એક સમયે રૂા.400 મળતો એલઇડી બલ્બના ભાવ આજે રૂ.40 સુધી પહોંચ્યા છે. વિજબીલની બચત માટે આ કાર્ય કરવુ જોઇએ.

Share: