ગલવાન સંઘર્ષઃ પાંચ મહિના બાદ ચીને બદલ્યો પોતાના સૈનિકોના મોતનો આંકડો

ગલવાન સંઘર્ષઃ પાંચ મહિના બાદ ચીને બદલ્યો પોતાના સૈનિકોના મોતનો આંકડો

નવી દિલ્હી,તા.20 જુલાઈ 2021,મંગળવાર

ગયા વર્ષે લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અ્ને ચીનની સેનાના સૈનિકો એક બીજા સાથે ભીડાઈ ગયા હતા.

આ જંગમાં ચીનના સૈનિકોને ભારતીય સેનાની શૂરવીરતાનો પરચો મળ્યો હતો. ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા પણ ચીને પોતાના કેટલાક સૈનિકો માર્યા ગયા છે તે જાહેર કર્યુ નહોતુ. જોકે ફેબ્રુઆરી મહિનામાં ચીને સ્વીકાર્યુ હતુ કે, ગલવાનમાં અમારા 4 સૈનિકો માર્યા ગયા હતા.

હવે આ આંકડામાં ચીને પાંચ મહિના બાદ ફરી ફેરફાર કર્યો છે. ચીનુ કહેવુ છે કે, ગલવાન હિંસામાં અમારા ચાર નહીં પણ પાંચ સૈનિકો માર્યા ગયા હતા.

ચીનના સરકારી અખબારે કહ્યુ છે કે, 33 વર્ષના બટાલિયન કમાન્ડર ચેન હોંગજૂને પણ સીમા પર ફરજ બજાવતી વખતે જીવ ગુમાવ્યો હતો. મરનારા પાંચ સૈનિક શિજિયાંગ મિલટ્રી કમાન્ડના હતા.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીને એ વાત પણ સ્વીકારી છે કે, ચીનના કમાન્ડર સહિતના સૈનિકો હિંસા દરમિયાન ઘેરાઈ ગયા હતા. જ્યારે ભારતના સૈનિકો ભારે પડવા માંડ્યા હતા ત્યારે ચીને બીજા સૈનિકોને બોલાવ્યા હતા. ચીનના અખબારનુ કહેવુ છે કે, કમાન્ડર કિ ફાબાઓ ભારતીય સૈનિકો વચ્ચે ઘેરાઈ ગયા હતા ત્યારે ચેન હોંગજૂને પોતાના બીજા સૈનિકો સાથે આગળ વધ્યા હતા. જેથી તેઓ ભારતીય જવાનોની લાઠી અને પથ્થરોનો મુકાબલો કરી શકે. ચેને જોયુ કે ચીન સૈનિકો ઘેરાઈ ગયા છે ત્યારે તેઓ જંગના મેદાનમાં કૂદી પડ્યા હતા.

જોકે  ભારતીય સેના પહેલેથી જ માની રહી છે કે, આ સંઘર્ષ દરમિયાન મોતને ભેટેલા ચીની સૈનિકોની સંખ્યા અનેક ગણી વધારે છે.

Share: