ખેલ રત્ન પુરસ્કારમાંથી હટાવાયું રાજીવ ગાંધીનું નામ, હવે મેજર ધ્યાનચંદના નામે અપાશે એવોર્ડ

ખેલ રત્ન પુરસ્કારમાંથી હટાવાયું રાજીવ ગાંધીનું નામ, હવે મેજર ધ્યાનચંદના નામે અપાશે એવોર્ડ


– તેમણે સતત 3 ઓલમ્પિક (1928 એમ્સટર્ડમ, 1932 લોસ એન્જલસ અને 1936 બર્લિન)માં ભારતને હોકીનું સુવર્ણ પદક અપાવ્યું હતું

નવી દિલ્હી, તા. 06 ઓગષ્ટ, 2021, શુક્રવાર

કેન્દ્રની મોદી સરકારે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલી નાખ્યું છે. સરકારે તેને હોકીના ‘જાદુગર’ ગણાતા મેજર ધ્યાનચંદના નામ પર રાખવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. 

વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે, ‘દેશને ગર્વ અપાવનારી પળો વચ્ચે અનેક દેશવાસીઓનો આગ્રહ પણ સામે આવ્યો કે ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદજીને સમર્પિત કરવામાં આવે. લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને તેનું નામ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવામાં આવી રહ્યું છે.’

હોકીના જાદુગર ગણાતા મેજર ધ્યાનચંદનું હોકીમાં અવિશ્વસનીય યોગદાન રહ્યું છે. તેમણે પોતાની અંતિમ ઓલમ્પિક (બર્લિન 1936)માં કુલ 13 ગોલ કર્યા હતા. એ જ રીતે એમ્સ્ટર્ડમ, લોસ એન્જલિસ અને બર્લિન ઓલમ્પિકમાં મળીને તેમણે કુલ 39 ગોલ કર્યા જે તેમની બાદશાહત દર્શાવે છે. 

તેમનો જન્મ દિવસ 29મી ઓગષ્ટ ભારતના રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવાય છે. દર વર્ષે આ દિવસે રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સર્વોચ્ય ખેલ સન્માન ખેલ રત્ન ઉપરાંત અર્જુન અને દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત 1991-92માં કરવામાં આવી હતી. 

ધ્યાનચંદની ઉપલબ્ધિઓની સફર ભારતીય ખેલ ઈતિહાસનું ગૌરવ છે. તેમણે સતત 3 ઓલમ્પિક (1928 એમ્સટર્ડમ, 1932 લોસ એન્જલસ અને 1936 બર્લિન)માં ભારતને હોકીનું સુવર્ણ પદક અપાવ્યું હતું. 

Share: