ખાન સરની વિદ્યાર્થીઓને વિનંતી- 'હાથ જોડું છું… આજે પ્રદર્શનમાં સામેલ ન થશો'

ખાન સરની વિદ્યાર્થીઓને વિનંતી- 'હાથ જોડું છું… આજે પ્રદર્શનમાં સામેલ ન થશો'


– ‘તમારી તમામ માગણીઓ સ્વીકારવામાં આવી છે માટે 28 જાન્યુઆરીના રોજ કોઈ પણ પ્રદર્શનમાં સામેલ ન થશો’ 

નવી દિલ્હી, તા. 28 જાન્યુઆરી, 2022, શુક્રવાર

બિહારમાં RRB NTPC CBT 2 અને Group D CBT 1 પરીક્ષામાં ધાંધલીનો આરોપ લગાવીને વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી પ્રદર્શન કરી રહ્યા છે. આ સાથે જ વિદ્યાર્થી સંગઠનોએ આજે બિહાર બંધની પણ જાહેરાત કરી છે. આરજેડી સહિતના તમામ રાજકીય દળોએ પણ આ બંધને સમર્થન આપ્યું છે. આ બધા વચ્ચે પટનાના ચર્ચિત કોચિંગ સંચાલક ખાન સરનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં તેઓ વિદ્યાર્થીઓને વિનંતી કરી રહ્યા છે કે, તેઓ કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શનમાં સામેલ ન થાય કારણ કે, રેલવેએ વિદ્યાર્થીઓની માગણી પર સહમતિ આપી દીધી છે. 

ખાન સરે પોતાના વીડિયોમાં વિદ્યાર્થીઓને પ્રદર્શનમાં સામેલ ન થવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘જુઓ તમામ વિદ્યાર્થીઓ માટે એક મહત્વની સૂચના છે. તમારી તમામ માગણીઓ સ્વીકારવામાં આવી છે. અમે તમારી તમામ દુવિધાઓ દૂર કરીએ છીએ. 28 જાન્યુઆરીના રોજ કોઈ પણ પ્રકારના પ્રદર્શનમાં સામેલ ન થશો, તે તમારા માટે ખોટું સાબિત થશે. હાલ બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સુશીલ મોદીનો વીડિયો આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, મેં રેલવે મંત્રી સાથે વાત કરી છે, તેઓ વિદ્યાર્થીઓની માગણી પર સહમત છે.’

ખાન સરે જણાવ્યું કે, ‘રેલવે મંત્રી પણ આ વાતથી સહમત છે કે, 20 ગણું વધારે રિઝલ્ટ આપશે. નંબર રીપિટ નહીં થાય. વધુ 3.5 લાખ બાળકોને જોડવામાં આવશે. એનટીપીસીવાળાઓની સમસ્યા ખતમ થઈ ગઈ. ગ્રુપ-Dવાળાઓના સીબીડીટી-2ને અચાનક જોડવામાં આવ્યું હતું, તેને દૂર કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ પણ આમાં દખલ કરી માટે સરળતાથી સહમતિ બની ગઈ.’

વધુમાં કહ્યું કે, ‘ભૂલ રેલવે મંત્રી કે પીએમ તરફથી નહોતી પણ આરઆરબીની હતી. આરઆરબી પણ કેટલીક વસ્તુઓનો સામનો કરી રહ્યું હતું. આટલી મોટી એક્ઝામ યોજવા માટે તેને જલ્દી કોઈ કંપની નહોતી મળી રહી.’

Share: