કોરોનાની વિદાય નક્કી! ICMRના પૂર્વ ચીફે કહ્યું – ચોથા ડૉઝની જરૂર નહીં પડે, ૩ જ પૂરતાં

કોરોનાની વિદાય નક્કી! ICMRના પૂર્વ ચીફે કહ્યું – ચોથા ડૉઝની જરૂર નહીં પડે, ૩ જ પૂરતાં
image : Twitter

નવી દિલ્હી, તા. 25, જાન્યુઆરી, બુધવાર

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)માં મહામારી વિજ્ઞાન અને ચેપી રોગોના પૂર્વ પ્રમુખ ડૉ. રમન ગંગાખેડકરે કહ્યું છે કે કોરોના વાઈરસ અને તેના સ્વરુપો અંગે વર્તમાન પુરાવાઓને જોતા કોરોનાવિરોધી વેક્સિનના ચોથો ડૉઝ આપવાની જરૂર નહીં પડે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિએ કોરોનાના બે ડૉઝ અને બુસ્ટર ડૉઝ પણ લઈ લીધો છે તો તેનો અર્થ એ છે કે તેની ટી-શેલ પ્રતિરોધક સિસ્ટમને ત્રણ વખત ટ્રેનિંગ અપાય છે. એટલે કે હવે તેને ચોથો ડૉઝ આપવાની જરૂર નહીં પડે. 

મુખ્ય વાઈરસ એટલો બદલાયો નથી

તેમણે કહ્યું કે મુખ્ય વાઈરસ એટલો બદલાયો નથી કે એક નવા વેક્સિન ડૉઝની જરૂર પડે એટલા માટે પોતાની ટી-સેલ પ્રતિરોધક ક્ષમતાની પ્રતિક્રિયા પર વિશ્વાસ રાખો. તેમણે કહ્યું કે વાઈરસના સ્વરૂપો સંબંધિત વર્તમાન પુરાવાને જોતા એવું જણાય છે કે તે એટલો ગંભીર રહ્યો નથી કે કોરોનાવિરોધી ચોથા ડૉઝની જરૂર પડે. 

વૃદ્ધો અને અન્ય બીમારીથી પીડાતા લોકો માસ્ક જેવા સાવચેતીના ઉપાયો કરતા રહે 

ડૉ. ગંગાખેડકરે કહ્યું કે વૃદ્ધો અને પહેલાથી જ કોઈ અન્ય બીમારીથી પીડાતા લોકોએ માસ્ક જેવા સાવચેતીના ઉપાયો કરતા રહેવું જોઈએ. તેમણે કહ્યું કે ચોથા ડૉઝની હાલ કોઈ જરૂર નથી કેમ કે કોઈ નવા વેરિયન્ટને હવે સાર્સ-કોવિડરથી સંબંધ નહીં હોય. 

Share: