કોરોનાથી સંક્રમિત થયા બાદ આઠ મહિના ચાલી સારવાર, આઠ કરોડ ખર્ચ્યા પણ ના બચ્યો જીવ

કોરોનાથી સંક્રમિત થયા બાદ આઠ મહિના ચાલી સારવાર, આઠ કરોડ ખર્ચ્યા પણ ના બચ્યો જીવ

નવી દિલ્હી,તા.13.જાન્યુઆરી.2022

કોરોનાની બીજી લહેરે ઘણા લોકોનો જીવ લીધો હતો.

હવે દેશમાં કદાચ કોરોનાની સૌથી લાંબી સારવાર મેળવનાર દર્દીનુ પણ આઠ મહિના બાદ મોત થયુ છે.મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ખેડૂત ધર્મજય સિંહ કોરોનાથી સંક્રમિત થયા બાદ આઠ મહિના સુધી તેમની સારવાર ચાલી હતી.

ફેફસામાં સંક્રમણ વધારે હોવાથી પરિવારજનો તેમને સારવાર માટે ચેન્નાઈ લઈ ગયા હતા.આઠ મહિના સુધી સારવાર પછી પણ તેમનો જીવ બચી શક્યો નથી.સારવાર પાછળ આઠ કરોડ રુપિયા તેમના કુટુંબીજનોએ ખર્ચયા હતા.

આઠ મહિના પહેલા 30 એપ્રિલ,2021ના રોજ  તેમને કોરોના થયો હતો.ધર્મજયસિંહની પહેલા સ્થાનિક સ્તરે અને પછી ચેન્નાઈમાં સારવાર શરુ કરાઈ હતી.દેશના અને બ્રિટનના જાણીતા ડોકટરોએ તેમની સારવાર કરી હતી.આમ છતા મંગળવારે રાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.કોરોનાના કારણે તેમના ફેફસા 100 ટકા સંક્રમિત થયા હતા અને એ પછી તેમને એકમો મશિનથી જીવાડવાનો પ્રયાસ થઈ રહ્યો હતો.આ માટે રોજ ત્રણ લાખ રુપિયાનો ખર્ચ થયો હતો.સારવાર માટે પરિવારજનોએ પચાસ એકર જમીન પણ વેચી દીધી હતી.

એક સપ્તાહ પહેલા તેમનુ બ્લડ પ્રેશર ઓછુ થઈ ગયુ હતુ.ડોકટરોએ તેમને આઈસીયુમાં ખસેડયા હતા.ત્યાં તેમને બ્રેન હેમરેજ થયુ હતુ.

ધર્મજયસિંહની ગણતરી દેશના પ્રગતિશિલ ખેડૂતોમાં થતી હતી.તેમણે સ્ટ્રોબેરી અને ગુલાબની ખેતી કરવાનો ટ્રેન્ડ શરુ કર્યો હતો.

Share: