કોંગ્રેસી નેતા કર્ણ સિંહે કહ્યું- જમ્મુ કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવે, જલ્દી કરાવવામાં આવે ચૂંટણી

કોંગ્રેસી નેતા કર્ણ સિંહે કહ્યું- જમ્મુ કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવે, જલ્દી કરાવવામાં આવે ચૂંટણી


– કર્ણ સિંહે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં જે ઘટનાઓ બની તેણે મને દુખથી ભરી દીધો છે

નવી દિલ્હી, તા. 14 ઓક્ટોબર, 2021, ગુરૂવાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કર્ણ સિંહે જમ્મુ કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરાવવા અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટેની માગણી કરી છે. કર્ણ સિંહે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા સામાન્ય નાગરિકોની હત્યા અને સુરક્ષા દળોના જવાન શહીદ થયા તે ઘટનાઓ માટે પણ દુખ વ્યક્ત કર્યું હતું.

કર્ણ સિંહે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં જે ઘટનાઓ બની તેણે મને દુખથી ભરી દીધો છે. કર્ણ સિંહે તાજેતરમાં શહીદ થયેલા 5 જવાનો માટે દુખ વ્યક્ત કર્યું હતું. કર્ણ સિંહે જણાવ્યું કે, રાજ્યમાં બનેલી આ ઘટનાઓ સુરક્ષાને મજબૂત કરવાની જરૂરિયાત દર્શાવે છે. 

કર્ણ સિંહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયાઓ જલ્દી શરૂ થવી જોઈએ. ઉપ રાજ્યપાલ અને કેન્દ્ર શાસિત પ્રદેશનું પ્રશાસન પોતાના સર્વશ્રેષ્ઠ પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ તે સ્વતંત્રરૂપે ચૂંટાયેલી ધારાસભા અને લોકપ્રિય સરકારના વિકલ્પ ન બની શકે. 

કર્ણ સિંહે જણાવ્યું કે, સીમાંકન પ્રક્રિયા લાંબી ન ખેંચાવી જોઈએ અને સીમાંકન આયોગે પોતાનું કામ પૂરૂ કરવા માટે પોતે જ સમય મર્યાદા નક્કી કરવી જોઈએ. એક વખત પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત થઈ જાય ત્યાર બાદ નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી કરાવવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. તેના પરિણામ સ્વરૂપે આપણે થોડા મહિનાઓની અંદર સરકારની આશા રાખી શકીએ. 

Share: