કેરળમાં કોરોનાના કેસમાં રેકોર્ડ સમાન ઉછાળો, 24 કલાકમાં 5 હજાર કેસ, 370ના મોત

કેરળમાં કોરોનાના કેસમાં રેકોર્ડ સમાન ઉછાળો, 24 કલાકમાં 5 હજાર કેસ, 370ના મોત


– કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રહેલા મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 766 નવા કેસ સામે આવ્યા 

નવી દિલ્હી, તા. 24 નવેમ્બર, 2021, બુધવાર

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના નવા કેસની ઝડપ ઘટી રહી છે ત્યારે કેરળના તાજેતરના હેલ્થ બુલેટિનના કારણે ફરી એક વખત ટેન્શનમાં વધારો થયો છે. કેરળના મંગળવારે સાંજે જાહેર કરવામાં આવેલા બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 4,972 નવા કેસ નોંધાયા છે અને 370 લોકોના મોત થયા છે. આ કેરળમાં છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવેલો ઉછાળા સમાન આંકડો છે. 

કેરળમાં સોમવારે કોરોનાના 3,698 કેસ સામે આવ્યા હતા. ભારતના આ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 50,97,845 કેસ નોંધાઈ ચુક્યા છે. કેરળના 14 જિલ્લાઓમાં તિરૂવનંતપુરમ ખાતેથી સૌથી વધારે 917 કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ ત્રિશૂર ખાતેથી 619 અને કોઝિકોડ ખાતેથી 527 કેસ સામે આવ્યા છે. 

કેરળ સરકારની પ્રેસ રીલિઝ પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોમાં 57 લોકોના મોત થયા છે. જ્યારે કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન્સ પ્રમાણે કોરોનાના કારણે 313 લોકોના મોત નોંધાયા છે. આ મૃત્યુઆંકને લઈ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. કેરળમાં હજુ પણ 1,84,581 લોકો સર્વેલાન્સમાં છે અને 1,79,531 લોકો ક્વોરેન્ટાઈન છે. 

આ તરફ ઓડિશાની 2 શૈક્ષણિક સંસ્થાઓની 82 વિદ્યાર્થીનીઓ કોરોના સંક્રમણનો ભોગ બની છે. કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રહેલા મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 766 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 929 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના 23 નવા કેસ સામે આવ્યા છે. 

Share: