કેરળઃ આજથી 5 દિવસ માટે ખુલ્યું સબરીમાલા મંદિર, દરરોજ 5,000 શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન

કેરળઃ આજથી 5 દિવસ માટે ખુલ્યું સબરીમાલા મંદિર, દરરોજ 5,000 શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન


– દર્શન માટે શ્રદ્ધાળુઓએ ઓનલાઈન બુકિંગ કરવું પડશે

નવી દિલ્હી, તા. 17 જુલાઈ, 2021, શનિવાર

કેરળનું પ્રસિદ્ધ સબરીમાલા મંદિર શનિવાર એટલે કે 17મી જુલાઈથી 5 દિવસ માટે ખોલી દેવાયું છે. મંદિરને માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું છે. જોકે આ દરમિયાન દરરોજ 5,000 શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. પરંતુ આ માટે તેમણે ઓનલાઈન બુકિંગ કરવું પડશે. આ મંદિર 21 જુલાઈ સુધી ખુલ્લુ રહેશે. કોરોનાની બીજી લહેર બાદ સબરીમાલા મંદિર પહેલી વખત ખુલ્યું છે. 

ખાસ વાત એ છે કે, જે લોકો મંદિરમાં દર્શન કરવા ઈચ્છે છે તેમણે કોરોના વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ આપવું પડશે અથવા 48 કલાક પહેલા સુધીનો કોરોના આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ પણ આપવો પડશે. 

કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે

કોરોનાની બીજી લહેર ભલે અટકી ગઈ હોય પરંતુ શ્રદ્ધાળુઓએ મંદિર પરિસરમાં ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે. મહામારીને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓએ મંદિરમાં દર્શન કરવા માટે આકરા નિયમોનું પાલન કરવું પડશે. 

ઉલ્લેખનીય છે કે, સબરીમાલા મંદિર એવા સમયે ખોલવામાં આવ્યું છે જ્યારે અનેક રાજ્યોએ કાવડ યાત્રાને પ્રતિબંધિત કરી છે. ઉતત્તરાખંડથી લઈને રાજસ્થાન અને ઓડિશામાં કાવડ યાત્રા બેન કરી દેવામાં આવી છે. કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતે નિષ્ણાંતો સતત કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપી રહ્યા છે. આઈસીએમઆરના ટોપ વૈજ્ઞાનિકે જણાવ્યું કે ઓગષ્ટમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે અને દેશમાં દરરોજ એક લાખ કેસ આવી શકે છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર પણ સતત આ જોખમને લઈ ચેતવણી આપી રહી છે. 

Share: