કેનેડામાં ઠંડીથી થીજીને મૃત્યુ પામેલો પરિવાર કલોલના ડિંગુચાનો હતો

કેનેડામાં ઠંડીથી થીજીને મૃત્યુ પામેલો પરિવાર કલોલના ડિંગુચાનો હતો

ભારતીય દૂતાવાસે કેનેડામાં ઠંડીથી ઠૂંઠવાઈને માર્યા ગયેલા ગુજરાતી પરિવારની ઓળખ કરી હતી. આ પરિવાર ગુજરાતના કલોલ પાસેના ડિંગુચા ગામનો હતો. જગદીશ પટેલ, વૈશાલી પટેલ તેમના સંતાનોને લઈને ૧૨મીએ કેનેડા પહોંચ્યા હતા.
હાડ ગાળતી ઠંડીમાં કેનેડામાંથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરનારા ગ્રુપમાં કલોલના ડિંગુચા ગામનો પરિવાર પણ હતો. ૩૯ વર્ષના જગદીશભાઈ પટેલ, ૩૭ વર્ષના વૈશાલીબેન અને તેમની ૧૧ વર્ષની દીકરી વિહંગી અને ૩ વર્ષનો દીકરો ધાર્મિક અમેરિકાની સરહદ પાસે કેનેડામાં ઠંડીથી થીજીને મૃત્યુ પામ્યા હતા.
આ પરિવાર ૧૨મી કેનેડા પહોંચ્યો હતો અને ૧૮મીએ બોર્ડર ક્રોસ કરવા ગયો હતો. ૧૯મીએ બોર્ડર પોલીસને તેમના મૃતદેહો મળી આવ્યા હતા. આ પરિવાર મધરાતે તેમના ગ્રુપથી વિખૂટો પડી ગયો હતો. હાડ ગાળતી ઠંડી અને આકરા પવન વચ્ચે ઝઝૂમીએ આખા પરિવારે દમ તોડયો હતો.
કેનેડાની સરકારે આ અંગેની તપાસ હાથ ધરી છે. કેનેડાની સરકારે આ ઘટના પછી ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરવાનું શરૃ કર્યું છે. ટોરેન્ટોમાં આવ્યા પછી આ પરિવાર કેવી રીતે બોર્ડર સુધી પહોંચ્યો હતો તે અંગેની માહિતી ભેગી કરવામાં આવી રહી છે. આ મૃતક પરિવારના સંપર્કમાં કોણ કોણ આવ્યું હતું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું કેનેડિયન ઓથોરિટીએ કહ્યું હતું.
કેનેડાના પોલીસ અધિકારીએ તપાસમાં મોડું થવા બાબતે માફી માગી હતી. તેમણે ભારતીય હાઈકમિશનના અધિકારીઓને કહ્યું હતું કે ઓળખની પ્રક્રિયા મોડી થઈ તે બદલ કેનેડાની સરકાર માફી માગે છે.

Share: