કેજરીવાલ પર નવી મુસીબત : પૂર નિયંત્રણમાં નિષ્ફળતાને લઈને મ્યુનિ. કાઉન્સિલની બેઠકમાં CM વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ

કેજરીવાલ પર નવી મુસીબત : પૂર નિયંત્રણમાં નિષ્ફળતાને લઈને મ્યુનિ. કાઉન્સિલની બેઠકમાં CM વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ

નવી દિલ્હી, તા.27 જુલાઈ-2023, ગુરુવાર

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થોડા દિવસો પહેલા જ આવેલા પૂરે ઘણુ નુકસાન કર્યું છે. યમુના નદીનું પાણી પ્રવેશ્યા બાદ આખુ દિલ્હીમાં પાણીમાં ડુબ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ પૂરને લઈ આક્ષેપ-પ્રતિઆક્ષેપો પણ સામે આવ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક તરફ હરિયાણા પર પાણી છોડવાનો આક્ષેપ કર્યો હતો, તો બીજી તરફ વિપક્ષો પૂરને નિયંત્રણ કરવામાં દિલ્હી સરકાર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો થયા હતા. જોકે હવે આ મામલે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) ની બેઠક સુધી પહોંચી ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેરજીવાલ રાજ્યમાં આવેલા પૂરને નિયંત્રણ કરવામાં નિષ્ફળ ગયા હોવાને NDMCની બેઠકમાં આક્ષેપો થઈ રહ્યા છે અને આ મામલે CM વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે, જેનું મુખ્ય કારણ એવું કહેવાઈ રહ્યું છે કે, ચોમાસા પહેલા દિલ્હીમાં એક એપેક્સ કમિટી ફ્લડ કંટ્રોલ બનાવાયો હતો અને મુખ્યમંત્રી કેજરીવાલ તે સમિતિના ચેરમેન છે અને કેજરીવાલે 2 વર્ષમાં એકપણ એપેક્સ કમિટીની બેઠક યોજી નથી.

પૂરના કારણે લોકોએ તેમના ઘર છોડવા પડ્યા

કેજરીવાલ પર આક્ષેપ કરાયો છે કે, તેઓ એપેક્સ કમિટી ફ્લડ કંટ્રોલ સમિતિના ચેરમેન હોવા છતાં તેમજ આગોતરું આયોજન કરવા માટે એકપણ બેઠક યોજી ન હોવાના કારણે પૂરના કારણે એનડીએમસીનો વિસ્તાર અને દિલ્હીના અન્ય વિસ્તારો ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. યમુના નદીનું પાણી સિવિલ લાઈન્સથી લઈને યમુના બજાર, જેતપુર જેવા વિસ્તારો સુધી પહોંચતા પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત વિકાસ માર્ગ પર પણ ઘણા દિવસો સુધી ટ્રાફિક અવરોધાયો… પૂરના કારણે દિલ્હીના ઘણા રહેવાસીઓએ પોતાનું ઘર છોડચું પડ્યું… ઉપરાંત છેલ્લા બેથી ત્રણ દિવસ સુધી એનડીએમસી વિસ્તારમાં પીવાના પાણીનો પૂરવઠો પણ ખોરવાયો…

NDMC સભ્યએ કેજરીવાલ પર કર્યો ગંભીર આક્ષેપ

બેઠક બાદ NDMC સભ્ય કુલજીત ચહલે કહ્યું કે, દિલ્હીમાં પૂર આવ્યું પણ મુખ્યમંત્રી કેજરીવાલ ગાયબ રહ્યા… તેમણે 2 વર્ષથી એપેક્સ કમિટીની બેઠક પણ ન યોજી… એટલું જ નહીં તેમણે સુવિધા શિબિર, મહિલા હોસ્ટેલ અને સ્કૂલોની પણ મુલાકાત ન લીધી… જ્યારે મુખ્યમંત્રી પાસે જવાબ મગાયો તો તેઓ જવાબ આપ્યા વગર બેઠકને સ્થગિત કરીને જતા રહ્યા… ચહલે દાવો કર્યો કે, એનડીએમસીના ઈતિહાસમાં પ્રથમવાર આવું બન્યું કે, કોઈપણ એજન્ડા વગર બેઠક સ્થગિત કરાઈ…

દિલ્હી સરકારનો આક્ષેપ, બેઠકમાં ભાજપ સભ્યો અન્ય મુદ્દાઓ ઉછાળતા રહ્યા

બીજીતરફ આ મામલે દિલ્હી સરકારે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપથી જોડાયેલા તમામ સભ્યોએ એનડીએમસીની બેઠકને રાજકીય યુદ્ધનું મેદાન બનાવી દીધું… ભાજપને એનડીએમસી ક્ષેત્રમાં રહેનારાઓના કલ્યાણ માટે કોઈ રસ નથી… બેઠકના એજન્ડામાં ઘણા મહત્વના મુદ્દાઓ હતા, પરંતુ ભાજપના સભ્યોએ રાજસ્થાનમાં મહિલા અત્યાચાર, સર્જિકલ સ્ટ્રાઈક, ટુકડે ગેંગ વગેરે મુદ્દાઓ ઉઠાવ્યા… શું આ મુદ્દાઓ એનડીએમસી ક્ષેત્રમાં રહેનારા લોકોના કલ્યાણ સાથે જોડાયેલા છે ? આ ખુબ જ ગંદુ રાજકારણ હતું. બેઠકમાં કુલજીત ચહલની આગેવાનીમાં ભાજપના સભ્યો બુમો પાડતા રહ્યા અને એકપણ એજન્ડા પર ચર્ચા ન થવા દીધી… કોઈ અન્ય વિકલ્પ ન હોવાના કારણે મુખ્યમંત્રીએ બેઠક સ્થગિત કરવી પડી… દિલ્હી સરકારે વધુમાં કહ્યું કે, ભાજપના સભ્યોનો એક માત્ર ઉદ્દેશ્ય મુખ્યમંત્રીનું અપમાન કરવાનો છે.

Share: