કુશીનગર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ PM મોદીએ કરી મહાપરિનિર્વાણ મંદિરમાં પૂજા

કુશીનગર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ PM મોદીએ કરી મહાપરિનિર્વાણ મંદિરમાં પૂજા


– વડાપ્રધાને કુશીનગરના મહાપરિનિર્વાણ મંદિરમાં પૂજા કરી હતી અને ભગવાન બુદ્ધને ચાદર પણ દાન કરી હતી

નવી દિલ્હી, તા. 20 ઓક્ટોબર, 2021, બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કુશીનગર એરપોર્ટનું ઉદાહરણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત બૌદ્ધ સમાજની આસ્થાનું કેન્દ્ર છે. આ સાથે જ વિભિન્ન વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ થવાનો છે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી મહાપરિનિર્વાણ મંદિર પહોંચ્યા હતા. એવું કહેવાય છે કે, બુદ્ધે તે જગ્યાને મોક્ષ માટે પસંદ કરી હતી. વડાપ્રધાન મોદીએ ત્યાં ‘અભિધમ્મ દિવસ’ નિમિત્તે આયોજિત એક સમારંભમાં હિસ્સો લીધો હતો. વડાપ્રધાન મોદીએ કુશીનગર ખાતે બોધિવૃક્ષનો છોડ પણ રોપ્યો હતો. 

‘અભિધમ્મ દિવસ’ કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, જો આજે આપણે બૌદ્ધના સંદેશાને અપનાવી લઈએ તો તે સ્પષ્ટ થઈ જશે કે કોણે શું કરવાનું છે. વડાપ્રધાને કહ્યું કે, બુદ્ધ સીમાઓ અને દિશાઓથી પર હતા. વડાપ્રધાને કુશીનગરના મહાપરિનિર્વાણ મંદિરમાં પૂજા કરી હતી અને ભગવાન બુદ્ધને ચાદર પણ દાન કરી હતી. આ દરમિયાન રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

કુશીનગર એક આંતરરાષ્ટ્રીય બૌદ્ધ તીર્થસ્થળ છે જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું હતું. કુશીનગર આંતરરાષ્ટ્રીય વિમાની મથકના ઉદ્ઘાટન પ્રસંગે શ્રીલંકાના કોલમ્બો ખાતેથી આવેલા વિમાને ઉતરાણ કર્યું હતું જેમાં 100 કરતા વધારે બૌદ્ધ ભિક્ષુ સહિતના અન્ય અધિકારીઓ સામેલ હતા. 

પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત બૌદ્ધ સમાજની આસ્થા-શ્રદ્ધાનું કેન્દ્ર છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આજે કુશીનગર દુનિયા સાથે જોડાઈ ગયું છે. બધાના સાથ વડે બધાનો વિકાસ થઈ રહ્યો છે. વધુમાં જણાવ્યું કે, એરપોર્ટના કારણે ફક્ત પર્યટનને પ્રોત્સાહન જ નહીં મળે, તેનાથી ખેડૂતો, પશુપાલકો, નાના બિઝનેસમેન વગેરેને પણ ફાયદો થશે. રોજગારના નવા અવસર મળશે. આગામી 3-4 વર્ષમાં દેશમાં 200 કરતા વધારે એરપોર્ટ, સીપૌડનું નેટવર્ક ઉભું કરવાનો પ્રયત્ન છે.   

Share: