કુન્નૂરમાં ક્રેશ સાઈટ પર પહોંચ્યા વાયુસેનાધ્યક્ષ, કાલે દિલ્હી કેન્ટ ખાતે થશે બિપિન રાવતના અંતિમ સંસ્કાર

કુન્નૂરમાં ક્રેશ સાઈટ પર પહોંચ્યા વાયુસેનાધ્યક્ષ, કાલે દિલ્હી કેન્ટ ખાતે થશે બિપિન રાવતના અંતિમ સંસ્કાર


– જમીન પર પડતાં પહેલા હેલિકોપ્ટર અન્ય એક મોટા ઝાડ સાથે પણ અથડાયું હતું અને બાદમાં આગ ફાટી નીકળી હતી

નવી દિલ્હી, તા. 09 ડિસેમ્બર, 2021, ગુરૂવાર

ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતનું બુધવારે તમિલનાડુના કુન્નૂર ખાતે હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું છે. આ દુર્ઘટનામાં તેમના પત્ની સહિત અન્ય 12 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતીય વાયુ સેનાના પ્રમુખ વી આર ચૌધરી ગુરૂવારે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે દુર્ઘટના અંગેની જાણકારી મેળવી હતી. વાયુ સેનાના પ્રમુખ બુધવારે જ પાલમથી તમિલનાડુ માટે રવાના થઈ ગયા હતા. 

જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા અને અન્ય 11 લોકોના પાર્થિવ શરીરને આજે તમિલનાડુથી દિલ્હી લાવવામાં આવશે. દુર્ઘટનાને નજરે નિહાળનારા કૃષ્ણ સ્વામી નામના એક શખ્સના કહેવા પ્રમાણે તેમણે હેલિકોપ્ટરને નીચે આવતા જોયું હતું. ખૂબ જોરદાર અવાજ આવ્યો હતો અને બાદમાં તે ઝાડ સાથે અથડાયું હતું અને તેમાં આગ લાગી ગઈ હતી. 

જમીન પર પડતાં પહેલા હેલિકોપ્ટર અન્ય એક મોટા ઝાડ સાથે પણ અથડાયું હતું અને બાદમાં આગ ફાટી નીકળી હતી. કૃષ્ણ સ્વામીએ પોતાની પાડોશમાં રહેતા એક યુવકને બોલાવ્યો હતો તથા તેણે ફાયર સર્વિસ અને પોલીસને ફોન કર્યો હતો. તેમણે જોયું હતું કે, હેલિકોપ્ટરમાંથી સળગીને 2-3 લોકો નીચે પડ્યા. 

Share: