કાશ્મીર આવેલા અમિત શાહ મને મળવા માંગતા હતા પણ મેં ના પાડી દીધીઃ ફારુખ અબ્દુલ્લા

કાશ્મીર આવેલા અમિત શાહ મને મળવા માંગતા હતા પણ મેં ના પાડી દીધીઃ ફારુખ અબ્દુલ્લા

નવી દિલ્હી,તા.23 ઓક્ટોબર 2021,શનિવાર

કાશ્મીરમાં કલમ 370 હટયા બાદ ગૃહ મંત્રી અમિત શાહ પહેલી વખત કાશ્મીરના પ્રવાસે છે.

દરમિયાન એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં રાજ્યના પૂર્વ સીએમ ફારુખ અબ્દુલ્લાએ દાવો કર્યો છે કે, અમિત શાહ મને મળવા માંગતા હતા પણ મેં ના પાડી દીધી હતી.

તેમણે કહ્યુ હતુ કે, કાશ્મીરમાં ત્યાં સુધી શાંતિ નહીં સ્થપાય જ્યાં સુધી સરકાર કલમ 370 ફરી લાગુ નહીં કરે. અહીંયા માત્ર હિન્દુઓ જ નહીં પણ મુસ્લિમોની પણ આતંકીઓ હત્યા કરી રહ્યા છે. કલમ 370 હટયા બાદ આતંકવાદ ખતમ થઈ જશે તેવુ કહેનારાની આંખો છેલ્લા કેટલાક દિવસમાં થયેલા આતંકી હુમલાઓ બાદ પણ ખુલી નથી.

તેમણે કહ્યુ હતુ કે, કાશ્મીરી પંડિતોની વાપસી માટે માહોલ યોગ્ય નથી. ભાજપ ધર્મના આધારે દેશના ભાગલા પાડી રહ્યુ છે. ભાજપ યુપીમાં કોમી તનાવ સર્જી રહ્યુ છે. અમિત શાહ મને મળવા માંગતા હતા અને આ માટે સરકારે મારો સંપર્ક કર્યો હતો પણ મેં ના પાડી દીધી હતી.

આ પહેલા પણ ફારુખ અબ્દુલ્લાએ ચેતવણી આપી હતી કે, ભાજપ યુપીમાં ચૂંટણી જીતવા નફરત ફેલાવી રહી છે. જો નફરત વધતી રહી તો ભારતના સંખ્યાબંધ ટુકડા થઈ જશે.

Share: