કર્ણાટક હાઈકોર્ટ આજે હિજાબ વિવાદ પર ચુકાદો સંભળાવશે

કર્ણાટક હાઈકોર્ટ આજે હિજાબ વિવાદ પર ચુકાદો સંભળાવશે

– રાજ્યની રાજધાની બેંગ્લોરમાં એક અઠવાડિયા માટે મોટી સભાઓ પર પ્રતિબંધ મૂક્યો 

બેંગ્લોર, તા. 15 માર્ચ 2022, મંગળવાર 

કર્ણાટક હાઈકોર્ટ આજે એટલે કે મંગળવારે હિજાબ વિવાદ પર પોતાનો ચુકાદો સંભળાવશે. હાઈકોર્ટની ફુલ બેન્ચે ગયા મહિને આ મામલે સુનાવણી પૂરી કરી દીધી હતી. ફુલ બેંચમાં ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ જેએમ ખાજી અને જસ્ટિસ કૃષ્ણા એમ દીક્ષિત સામેલ હતા. નિર્ણય પહેલા, રાજ્ય સરકારે ‘જાહેર શાંતિ અને વ્યવસ્થા જાળવવા’ માટે રાજ્યની રાજધાની બેંગ્લોરમાં એક અઠવાડિયા માટે મોટી સભાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા કેસની સુનાવણી દરમિયાન કર્ણાટક સરકાર દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, હિજાબ એ આવશ્યક ધાર્મિક પરંપરા નથી અને ધાર્મિક નિર્દેશોને શૈક્ષણિક સંસ્થાઓથી બહાર રાખવા જોઈએ. હિજાબ કેસની સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઈકોર્ટની ફુલ બેંચમાંથી રાજ્યના એડવોકેટ જનરલ પ્રભુલિંગા નવદગીએ જણાવ્યું હતું કે, અમારું વલણ એવું છે કે, હિજાબ આવશ્યક ધાર્મિક પરંપરા નથી. ડૉ. ભીમરાવ આંબેડકરે બંધારણ સભામાં કહ્યું હતું કે ‘આપણે આપણા ધાર્મિક નિર્દેશોને શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવા જોઈએ. 

તમને જણાવી દઈએ કે, મુસ્લિમ વિદ્યાર્થિનીઓનો શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાથી રોકવા અંગેનો વિવાદ ડિસેમ્બરમાં શરૂ થયો હતો, ત્યારે કર્ણાટકના ઉડુપી જિલ્લાની છ વિદ્યાર્થીનીઓએ અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ યુવતીઓ હાઈકોર્ટમાં અરજી કરવા પહોંચી હતી. ત્યારથી આ મામલો વધી રહ્યો છે. હાલમાં કર્ણાટક હાઈકોર્ટે કોઈપણ ધાર્મિક ચિહ્ન પહેરીને શાળાએ જવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે.

Share: