કર્ણાટક : કુમારસ્વામીએ BJP સાથે ગઠબંધન કરવાની કરી જાહેરાત, પણ આપ્યો ગોળગોળ જવાબ

કર્ણાટક : કુમારસ્વામીએ BJP સાથે ગઠબંધન કરવાની કરી જાહેરાત, પણ આપ્યો ગોળગોળ જવાબ

બેંગલુરુ, તા.21 જુલાઈ-2023, શુક્રવાર

NDAમાં વધુ એક પક્ષ જોડાયો છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીની જેડીએસે ભાજપ સાથે રાજ્યમાં વિપક્ષના રૂપે કામ કરવાની જાહેરાત કરી છે. કુમારસ્વામીએ કહ્યું કે, તેમના પક્ષે કર્ણાટકમાં વિપક્ષ તરીકે ભાજપ સાથે મળીને કામ કરવાનો નિર્ણય કર્યો છે. કુમારસ્વામી પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવેગોડાના સુપુત્ર છે. અગાઉ તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. જોકે NDA સાથે ગઠબંધનની જાહેરાત કરતી વખતે કુમારસ્વામીએ એમ પણ કહ્યું કે, 2024ને લઈ ગઠબંધન પર હજુ નિર્ણય લીધો નથી.

પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ શું કહ્યું ?

પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ જણાવ્યું કે, JDSએ કર્ણાટકમાં વિપક્ષ તરીકે ભાજપ સાથે મળીને કામ કરવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના સુપ્રીમો અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાએ તેમને પાર્ટી અંગે કોઈપણ અંતિમ નિર્ણય લેવા માટે અધિકાર આપ્યા છે. એનડીએમાં સામેલ થવાના સવાલ પર તેમણે કહ્યું કે, હજુ આ અંગે વાત કરવા માટે તેમજ સંસદીય ચૂંટણીમાં ઘણો સમય બાકી છે.

કોંગ્રેસ વિરુદ્ધ અભિયાન શરૂ કરવા પ્લાન બનાવ્યો

કુમારસ્વામીએ કહ્યું કે, મેં વિધાનસભાની અંદર અને બહાર અગાઉથી જ કહ્યું છે કે, ભાજપ અને JD(S) બંને વિપક્ષી પાર્ટીઓ છે, તેથી રાજ્યના હિતમાં સાથે મળીને કામ કરવાનો નિર્ણય લેવાયો છે. અમારા પક્ષના ધારાસભ્યોએ ચર્ચા કરી છે કે, કેવી રીતે આગળ વધવાનું છે… તેમણે કહ્યું કે, ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, રાજ્યના તમામ 31 જિલ્લાઓમાં કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરવા તમામ સમુદાયોના પ્રતિનિધિત્વ ધરાવતા 10 સભ્યોની ટીમ બનાવાશે.

લોકસભા ચૂંટણી માટે 11 મહિનાનો સમય, પાર્ટીએ મને નિર્ણય લેવા માટે અધિકૃત કર્યો

કુમારસ્વામીએ જણાવ્યું કે, લોકસભા ચૂંટણીમાં હજુ 11 મહિનાનો સમય છે. સંસદીય ચૂંટણી પહેલા સંગઠનની મજબૂતી પર ધ્યાન અપાશે. દેવેગૌડાએ કહ્યું છે કે, તેમણે મને પાર્ટીને લઈને કોઈપણ અંતિમ નિર્ણય લેવા માટે અધિકાર આપ્યો છે.

Share: