×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કચ્છના ભચાઉમાં ફરી ભૂકંપ : 3.0ની તિવ્રતાથી ધરતી ધ્રૂજી

અમદાવાદ, તા.08 ફેબ્રુઆરી-2023, બુધવાર

કચ્છમાં વારંવાર ધરતી ઘૃજવાની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે આજે કચ્છના ભચાઉમાં ભુકંપથી ધરતી ધ્રૂજી ઉઠી છે. આજે રાત્રે 9 કલાકને 8 મિનિટે આવેલા ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0 આંકવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 24 કિલોમીટર દૂર હોવાના અહેવાલો મળ્યા છે.

11 જાન્યુઆરીએ પણ ભચાઉમાં આવ્યો હતો ભૂકંપ

11મી જાન્યુઆરીએ સવારે 10.57 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં. ભચાઉથી 16 કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું હતું.

10 ડિસેમ્બરે બનાસકાંઠામાં ભૂકંપના આંચકા

10 ડિસેમ્બરે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં 20 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપ આજે બપોરે 4.27 વાગે આવ્યો હતો. 

5મી ડિસેમ્બરે વલસાડમાં આવ્યો હતો ભુકંપ

વલસાડમાં 1 ડિસેમ્બરે રિએક્ટર સ્કેલ પર 3.3 ની તીવ્રતાના ઉપરાઉપરી બે ભૂકંપો આવ્યા બાદ 5મી ડિસેમ્બરે કચ્છના ખાવડાથી 28 કિ.મી. ઉત્તરે સવારે 4.17 વાગ્યે 3.2નો ધરતીકંપ રાજ્યના સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો. કચ્છમાં મોટી ફોલ્ટલાઈન છે અને ત્યાં અવારનવાર ભૂકંપ આવતા હોય છે પરંતુ, 5મીએ આવેલો ભૂકંપ જમીનથી માત્ર 5.9  કિ.મી. ઉંડાઈએ ઉદ્ભવ્યો હતો.

17 ડિસેમ્બરે અમરેલી પંથકમાં આવ્યા હતા 4 આંચકા

અમરેલી પંથકમાં 17 ડિસેમ્બરે ભૂકંપના ઉપરાઉપરી ચાર હળવા આંચકા નોંધાયાનું સિસ્મોલોજીકલ સેન્ટરના સૂત્રોએ જણાવ્યું હતું. તેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 32થી 44 કિ.મી. દૂર દક્ષિણ અને ઉત્તર બન્ને દિશામાં નોંધાયું હતું. અમરેલીથી અહેવાલ પ્રમાણે સાવરકુંડલા તાલુકાના મિતિયાળા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 2.0 અને 2.2 નોંધાઈ છે અને તમામ આંચકા ધરતીની ઉપરી સપાટી પર ઉદભવ્યા હતા. પ્રાથમિક રીતે આ આંચકા ઉદભવવાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર મનાય છે.