કંગના રનૌત Vs જાવેદ અખ્તરઃ માનહાનિ કેસમાં ટ્વીસ્ટ, કંગનાએ કર્યો કાઉન્ટર કેસ

કંગના રનૌત Vs જાવેદ અખ્તરઃ માનહાનિ કેસમાં ટ્વીસ્ટ, કંગનાએ કર્યો કાઉન્ટર કેસ


– કંગના રનૌતે આ દરમિયાન વધુ એક અરજી દાખલ કરી હતી જેમાં જાવેદ અખ્તર પર બળજબરીથી વસૂલી, પ્રાઈવસી ભંગ સહિત અનેક આરોપો લગાવ્યા

નવી દિલ્હી, તા. 20 સપ્ટેમ્બર, 2021, સોમવાર 

સોમવારે મુંબઈની કોર્ટમાં લેખક જાવેદ અખ્તર દ્વારા અભિનેત્રી કંગના રનૌત સામે કરવામાં આવેલા માનહાનિ કેસ મામલે સુનાવણી થઈ હતી. આ દરમિયાન બંને કોર્ટમાં હાજર રહ્યા હતા. કંગના રનૌતે આ સમગ્ર વિવાદમાં જાવેદ અખ્તર વિરૂદ્ધ કાઉન્ટર અરજી દાખલ કરી છે જેમાં તેણે જાવેદ અખ્તર પર અનેક આરોપો લગાવ્યા છે. 

મુંબઈની અંધેરી કોર્ટમાં સોમવારે ભારે સુરક્ષા વચ્ચે કંગના હાજર રહેવા પહોંચી હતી. મેજિસ્ટ્રેટ દ્વારા બંનેને આ કેસમાં હાજર રહેવા કહેવામાં આવ્યું હતું. જાવેદ અખ્તર અગાઉ જ કોર્ટમાં હાજર થયા હતા. 

મેજિસ્ટ્રેટે 15 નવેમ્બરના રોજ આ કેસની આગળની સુનાવણી હાથ ધરવા કહ્યું છે. કંગના રનૌતે આ દરમિયાન વધુ એક અરજી દાખલ કરી હતી જેમાં જાવેદ અખ્તર પર બળજબરીથી વસૂલી, પ્રાઈવસી ભંગ સહિત અનેક આરોપો લગાવ્યા છે. કંગના રનૌતે પોતાની અન્ય એક અરજીમાં બંને કેસ અન્ય કોઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવા વિનંતી કરી હતી. પહેલી ઓક્ટોબરના રોજ અંધેરીની કોર્ટમાં આ મામલે સુનાવણી થશે. 

હકીકતે 2020ના વર્ષમાં કંગના રનૌતે એક ઈન્ટરવ્યુ દરમિયાન બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા કેસમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેણે જાવેદ અખ્તરને લઈ અનેક પ્રકારના આરોપો લગાવ્યા હતા. તેને લઈ જાવેદ અખ્તરે કંગના રનૌત પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કોર્ટે અગાઉ પણ કંગનાને હાજર રહેવા કહેલું પરંતુ તે કોર્ટમાં હાજર નહોતી થઈ શકી. જોકે હવે કોર્ટના આકરા વલણ બાદ તે સોમવારે કોર્ટમાં રજૂ થઈ હતી અને કેસ ટ્રાન્સફર કરવા માગણી કરી હતી. 

Share: