ઓડિશામાં બે બસ વચ્ચે ભીષણ અકસ્માત, 10નાં મોત, 20થી વધુ ઘવાયા, ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો

ઓડિશામાં બે બસ વચ્ચે ભીષણ અકસ્માત, 10નાં મોત, 20થી વધુ ઘવાયા, ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો

image : Twitter

રાજ્યના ગંજમ જિલ્લાના દિગપહાંડી પોલીસ સીમા હેઠળ ખેમુંડી કોલેજ પાસે મોડી રાત્રે એક દુ:ખદ બસ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર,  લગ્ન સમારોહની રાયગડાથી ભુવનેશ્વર જઈ રહેલી બસ દિગપહાંડીમાં ખેમુંડી કોલેજ પાસે સરકારી બસ સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 

ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા 

ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે બરહામપુર MKCG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર ગંજમ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ દિવ્યા પરિદાને જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા, જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું, ‘બે બસની ટક્કરમાં 10 લોકોના મોત થયા હતા. ઘાયલોને તાત્કાલિક MKCG મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. મામલાની તપાસ ચાલી રહી છે. અમે ઘાયલોને તમામ શક્ય મદદ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

સીએમ નવીન પટનાયકે વળતરની કરી જાહેરાત 

દરમિયાન, મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) એ માહિતી આપી કે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગંજમ જિલ્લામાં બસ દુર્ઘટનામાં લોકોના મૃત્યુ પર ઊંડો દુઃખ વ્યક્ત કર્યો છે અને મૃતકોને ત્રણ લાખ રૂપિયાની વળતરની જાહેરાત કરી છે.

Share: