એક સમયે આનંદી બહેનની નજીક હોવાના કારણે રૂપાણી સરકારમાં થઇ હતી બાદબાકી, અને આજે બન્યા CM

એક સમયે આનંદી બહેનની નજીક હોવાના કારણે રૂપાણી સરકારમાં થઇ હતી બાદબાકી, અને આજે બન્યા CM

ગાંધીનગર, તા. 12 સપ્ટેમ્બર 2021, રવિવાર

વિજય રૂપાણીએ સીએમ તરીકેની પોતાની ટર્મ અધવચ્ચેથી છોડી દીધા બાદ ખાલી પડેલી સીમના પદ માટે મોવડી મંડળે આખરે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર રજનીકંત પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સરદાર ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને ઔડા સાથે સંકળાયેલા 59 વર્ષીય ભૂપેનિન્દ્ર પટેલને એક સમયે રૂપાણી સરકારની એટલી હદે નજરઅંદાજ કરવામાં આવ્યા હતા કે કેબિનેટ સુદ્ધામાં પણ સમાવેશ કરવામાં આવ્યો નહતો. 

ચાર વર્ષ પહેલા રચાયેલી રૂપાણી સરકારના મંત્રીમંડળમાં આનંદીબેનના નજીક ગણાતા ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાંથી બાદબાકી કરવામાં આવી હતી. આ સમયે કાર્યકરોમાં આશ્ચર્ય ફેલાયું હતુ કે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોના પરિણામમાં સૌથી વધુ 1.17 લાખની લીડ સાથે ભૂપેન્દ્ર પટેલ ચૂંટાયા હતા. 

જોકે, ટિકિટની ફાળવણી મુદ્દે પણ અમિત શાહ અને આનંદીબહેન પટેલ વચ્ચે વિવાદ થયો હતો. અમિત શાહ તેમના ખાસ પટેલને ટિકિટને ટિકિટ આપવા માંગતા હતા પણ આનંદીબહેને પોતાની ઘાટલોડિયા બેઠક પરથી પોતાના જ અંગત એવા ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવા દબાણ કર્યું હતું. આનંદીબહેને ચૂંટણી પહેલા જ પોતે ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી નાખી હતી.  પાટીદાર સમર્થિત ઘાટલોડિયામાંથી જીત મેળવનાર ભૂપેન્દ્ર પટેલની મંત્રીમંડળમાંથી બાદબાકી માટે એવું કહેવાય છે કે ભૂપેન્દ્રભાઈને બેન નડી ગયા.

ભૂપેન્દ્ર પટેલની રાજકીય કાર્કિર્દી

– ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય

– આનંદીબહેન પટેલના સ્થાને ઘાટલોડિયા બેઠક પરથી લડ્યા ચૂંટણી હતા

– 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના શશિકાંત પટેલ સામે 1.17 લાખ મતની લીડ સાથે જીત્યા હતા

– ઔડાના ચેરમેન પણ રહી ચુક્યા છે

– અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા હતા

– પાટીદાર સમાજનું કરે છે નેતૃત્વ

– ભૂપેન્દ્ર પટેલ આનંદીબહેનના વિશ્વાસુ 

– ભાજપના પાયાના કાર્યકર

Share: