એકનાથ શિંદે ગૃહમંત્રી અમિત શાહની બેઠકમાં ન ગયા, મરાઠા મંદિરના કાર્યક્રમમાં શરદ પવાર સાથે દેખાયા

એકનાથ શિંદે ગૃહમંત્રી અમિત શાહની બેઠકમાં ન ગયા, મરાઠા મંદિરના કાર્યક્રમમાં શરદ પવાર સાથે દેખાયા

image : Twitter

મહારાષ્ટ્રના રાજકારણમાં બધુ યોગ્ય નથી કે શું? મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ભાજપ વચ્ચે સંબંધોમાં ખટાશ આવી ગઈ હોય તેવા સંકેતો આપતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે શનિવારે મણિપુરની સ્થિતિ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં જોડાયા નહોતા. જોકે તેની જગ્યાએ તેઓ એનસીપી પ્રમુખ શરદ પવારના નેતૃત્વમાં આયોજિત બિન સરકારી મરાઠા મંદિરની 75મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં દેખાયા હતા. તેનાથી ફરી ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે. 

અમિત શાહે મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા બોલાવી હતી સર્વપક્ષીય બેઠક 

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 45થી વધુ દિવસથી હિંસાની આગમાં હોમાયેલા મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને ડાબેરીઓ સહિતના પક્ષોના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. જ્યારે ભાજપના સહયોગી શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી જ આ બેઠકમાં ન જોડાતા ચર્ચાઓ શરૂ થઈ છે. 

અગાઉ પણ આવી જ એક ઘટના બની હતી 

આ ઘટનાક્રમ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના રાજ્ય જળ સપ્લાય અને સ્વચ્છતા મંત્રી ગુલાબરાવ પાટિલ દ્વારા ગત ગુરુવારે એનસીપી સુપ્રીમો સાથે મુંબઈથી જલગાંવ સુધી ટ્રેન યાત્રા કર્યાના એક સપ્તાહ બાદ બન્યો છે. જોકે સીએમઓ તરફથી આ મામલે જણાવાયું કે ખરાબ હવામાનને લીધે મુખ્યમંત્રી શિંદેએ તેમની યાત્રા રદ કરી હતી. જેના લીધે તેઓ દિલ્હી જઈ શક્યા નહીં.    

Share: