ઇડીએ કાર્વી સ્ટોક બ્રોકિંગ કેસમાં રૂ. 1984 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

ઇડીએ કાર્વી સ્ટોક બ્રોકિંગ કેસમાં રૂ. 1984 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી


– કાર્વીએ પોતાના ગ્રાહકોના શેર ગિરવી રાખી લોન લીધી હતી

– ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિમાં 213.69 કરોડના જમીનના 102 પ્લોટ, 438.70 કરોડ રૂપિયાના શેર સામેલ 

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડ(કેએસબીએલ)ના સીએમડી સી પાર્થસારથી અને અન્યો વિરુદ્ધની મની લોન્ડરિંગ તપાસના સંબધમાં ૧૯૮૪ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. 

ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ૨૧૩.૬૯ કરોડ રૂપિયાના જમીનના ૧૦૨ પ્લોટ તથા કેફીન ટેકનોલોજીસમાં સી પાર્થસારથીના ૪૩૮.૭૦ કરોડના શેર તથા ૧૨૮૦ કરોડ રૂપિયાની કેડીએમએસએલ, કેએફએસએલ, એનબીએફસી અને કેએસબીએલની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. 

હૈદરાબાદ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆર અને લોન આપનારી બેંકો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોને આધારે ઇડી દ્વારા મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કેએસબીએલ દેશમાં એક અગ્રણી સ્ટોક બ્રોકર્સ છે અને તેના ગ્રાહકોની સંખ્યા લાખોમાં છે. એનએસઇ દ્વારા ૨૦૧૯માં કાર્વીનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું ત્યારે આ કૌૈભાંડ સપાટી પર આવ્યું હતું.

કાર્વી સમૂહ પર આરોપ છે કે તેણે પોતાના ગ્રાહકોનો ૨૮૦૦ કરોડ રૂપિયાના શેર ગેરકાયદેસર ગિરવી રાખી બેંકો પાસેથી મોટા પાયે લોન લીધી હતી. જો કે ત્યારબાદ સેબી અને એનએસઇના આદેશ પર કાર્વીના ગ્રાહકોને તેમના શેર પરત આપવામાં આવ્યા હતાં. જેના કારણે બેંકો પાસેથી લીધેલી લોન એનપીએ બની ગઇ હતી. 

એનએસઇની તપાસમાં જાણવા મળ્યું હતું કે કંપનીએ ડીપી ખાાતાનો ઉલ્લેખ કર્યો ન હતો અને પોતાના ગ્રાહકોના શેરોને ગિરવી રાખી એક્ત્ર થયેલા ફંડને સ્ટોક બ્રોકર કલાયન્ટ એકાઉન્ટને બદલે પોતાના છ બેંક ખાતામાં જમા રાખ્યા હતાં. 

Share: