આ વર્ષે UPમાં નહીં યોજાય કાવડ યાત્રા, કોરોના મહામારીના કારણે લેવાયો નિર્ણય

આ વર્ષે UPમાં નહીં યોજાય કાવડ યાત્રા, કોરોના મહામારીના કારણે લેવાયો નિર્ણય


– ગત વર્ષે પણ કાવડ સંઘે જ સરકાર સાથે વાતચીત બાદ કાવડ યાત્રા આયોજિત ન કરવા પર સહમતિ દર્શાવી હતી

નવી દિલ્હી, તા. 18 જુલાઈ, 2021, રવિવાર

આ વર્ષે ઉત્તર પ્રદેશમાં યોજાનારી કાવડ યાત્રાને કોરોના મહામારીના પગલે રદ્દ કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને કાવડ સંઘ વચ્ચે યાત્રાને લઈને વાતચીત થઈ હતી અને ત્યાર બાદ સંઘે યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર અપર મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ અવસ્થી અને ડીજીપી મુકુલ ગોયલે કાવડ સંઘ સાથે વાતચીત કરી હતી. 

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં કાવડ યાત્રાને લઈ સુનાવણી થઈ હતી અને કોર્ટે યોગી સરકારને પુનર્વિચાર માટે તક આપી હતી. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, પ્રદેશમાં કાવડ યાત્રા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં રહે અને સાંકેતિક સ્વરૂપે કાવડ યાત્રા ચાલુ રહેશે. જોકે સુનાવણી દરમિયાન કોર્ટે યુપી સરકારને ફેરવિચારણા માટે કહ્યું હતું. 

દરેક વ્યક્તિનું જીવન સૌથી મહત્વનુંઃ સુપ્રીમ કોર્ટ

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ દરેક માટે ખૂબ મહત્વનો વિષય છે. દરેક વ્યક્તિની જિંદગી સૌથી મહત્વની છે. ધાર્મિક અને અન્ય ભાવનાઓ મૌલિક અધિકારને આધીન નથી. આ તરફ કેન્દ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં કાવડ યાત્રાને ઉત્તરાખંડ જવાની મંજૂરી ન આપવી જોઈએ તેમ કહ્યું હતું. 

અનેક રાજ્યોમાં કાવડ યાત્રા રદ્દ

આ વખતે ઉત્તરાખંડ સરકારે કાવડ યાત્રા પર પ્રતિબંધ મુક્યો હતો. સાથે જ રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે પણ રાજ્યમાં કાવડ યાત્રા પર પ્રતિબંધ મુક્યો હતો. બિહાર, ઓડિશા, ઝારખંડમાં પણ યાત્રા પર પ્રતિબંધ મુકાઈ ચુક્યો છે. 

સુપ્રીમ કોર્ટમાં સોમવારે ફરી આ મામલે સુનાવણી થવાની છે જેમાં રાજ્ય સરકાર શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા રદ્દ કરવાની જાણકારી આપશે. શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓને ગંગાજળ ઉપલબ્ધ કરાવવાની યોજનાને લઈને પણ સરકાર કોર્ટમાં પ્લાન બતાવી શકે છે. ગત વર્ષે પણ કાવડ સંઘે જ સરકાર સાથે વાતચીત બાદ કાવડ યાત્રા આયોજિત ન કરવા પર સહમતિ દર્શાવી હતી. 

Share: