'આસમાન નહીં ગિર જાયેગા'..રિલાયન્સ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધિત કેસમાં સુપ્રીમની કેન્દ્રને ફટકાર

'આસમાન નહીં ગિર જાયેગા'..રિલાયન્સ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધિત કેસમાં સુપ્રીમની કેન્દ્રને ફટકાર

નવી દિલ્હી, તા. 15 ડિસેમ્બર 2022, ગુરૂવાર

સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) સાથે સંબંધિત એક કેસની ઝડપી સુનાવણી માટેની અરજી પર કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે અને કહ્યું છે કે, આના કારણે ‘આસમાન નહીં ગિર જાયેગા’. કૃષ્ણા-ગોદાવરી બેસિનના ડી6 બ્લોકમાં 400 મિલિયન ડોલરના કુદરતી ગેસની શોધ સાથે સંબંધિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બીપી એક્સ્પ્લોરેશન અને નિકો રિસોર્સિસ વચ્ચેના વિવાદમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થle કાર્યવાહી શરૂ થવાની છે પરંતુ તે પહેલા કેન્દ્ર સરકારે આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં ઘસીટ્યો છે.

RIL વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચ સમક્ષ RIL અને બે વિદેશી કંપનીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં થનારી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતાને રોકવા માટે સરકાર દ્વારા અંતિમ સમયમાં ઉઠાવવામાં આવેલા પગલા અને રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે.

સાલ્વેએ કહ્યું કે, યુકે અને ઓસ્ટ્રેલિયાના બે મધ્યસ્થો સાથે-સાથે વિદેશી કંપનીઓના નિષ્ણાતો ભારતમાં છે, પરંતુ સરકાર દ્વારા નામાકિંત મધ્યસ્થ પૂર્વ CJI વીએન ખરે તેમના માટે માયાવી સાબિત થઈ રહ્યા છે. જેના કારણે 11 વર્ષ જૂના વિવાદના નિરાકરણ પર સવાલો ઉઠી રહ્યા છે.

બંગાળની ખાડીમાં સ્થિત KG-D6 બ્લોકના ધીરુભાઈ-1 અને 3 અન્ય ગેસ ક્ષેત્રોમાંથી કુદરતી ગેસનું ઉત્પાદન 2010માં એટલે કે, બીજા વર્ષથી જ કંપનીના અંદાજ કરતાં ઓછું થવા લાગ્યું હતું. ત્યારબાદ ફેબ્રુઆરી 2020માં પોતાના અંદાજિત સમયથી ઘણુ પહેલા જ ઉત્પાદન કરવાનું બંધ કરી દીધું.

સરકારે કંપની પર આ ઘટના માટે મંજૂર વિકાસ યોજનાનું પાલન ન કરવાનો આરોપ મૂક્યો અને $3 બિલિયનથી વધુના ખર્ચનો અસ્વીકાર કર્યો હતો. કંપનીએ આનો વિરોધ કર્યો હતો અને સરકારને મધ્યસ્થતામાં ઘસીટી હતી.

સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એકે ગાંગુલીએ જણાવ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટના સિંગલ બેંચના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં બે મધ્યસ્થીઓ સામે પક્ષપાતના સરકારના આરોપને ફગાવી દેવાની અપીલ પેન્ડિંગ છે. અને જો મધ્યસ્થતા જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવે છે તો ‘આકાશ તો નહીં ગિર જાયેગા’ પરંતુ તેના સામાન્ય જનતા માટે ગંભીર પરિણામો આવશે.

આ અંગે CJI બેન્ચે કહ્યું કે, જો સરકાર આ રીતે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતાને વિફળ કરશે તો આફત આવી જશે. અમે કહી રહ્યા છીએ કે, ભારતમાં વિદેશી રોકાણને પ્રોત્સાહિત કરવા માટે વાણિજ્યિક વિવાદોના નિરાકરણને ઝડપી બનાવવા માટે અમને એક વૈકલ્પિક તંત્રના રૂપમાં મધ્યસ્થતાને પ્રોત્સાહિત કરવી જોઈએ પરંતુ આ શું છે? શું વિદેશી રોકાણકારોને વ્યાપાર હેતુ માટે ભારતમાં આવવા માટે પ્રોત્સાહિત કરવાનો આ યોગ્ય માર્ગ છે?

Share: