આવતીકાલે નરેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ : PK પણ વર્ચ્યુઅલી જોડાઈ શકે છે

આવતીકાલે નરેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ : PK પણ વર્ચ્યુઅલી જોડાઈ શકે છે

અમદાવાદ,તા.15 જૂન 2022,બુધવાર

ગુજરાતના રાજકરણમાં પ્રવેશ કરવો કે નહિ તે અંગેના નિર્ણયની અટકળો સાથે આવતીકાલે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ યોજવા જઈ રહ્યાં છે. છેલ્લા છ મહિનાથી નરેશ પટેલના રાજકરણના પ્રવેશ અંગે અનેક વખત અફવાઓ ઉડી હતી પરંતુ નરેશ પટેલ ‘સમાજ કહેશે એમ કરીશ’ કહીને સર્વેના પરિણામો પર નિર્ણય છોડતા હતા પરંતુ મળતા અહેવાલ અનુસાર નરેશ પટેલ આ સર્વેના તારણો અને નિર્ણય અને પોતાની રાજકીય કારકીર્દી અંગે આવતીકાલે સ્પષ્ટ ખુલાસા કરી શકે છે. 

અહેવાલ અનુસાર નરેશ પટેલ આજે યોજાયેલ પાટીદાર સંગઠનોના વડાની બેઠકમાં આ સર્વેના અમુક મુદ્દાઓ રજૂ કરીને તેમના મંતવ્યો જાણીને આવતીકાલે આધિકારીક જાહેરાત કરશે કે તેમની રાજકીય કારકીર્દીની શરૂઆત થશે કે બાળમરણ થશે ?

રસપ્રદ વાત એ છે કે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ માટે તારણહાર બનવા તૈયાર થનાર પ્રશાંત કિશોર નરેશ પટેલના રાજકીય સારથી બનવાના હતા. કેન્દ્રમાં કોંગ્રેસને પ્રશાંત કિશોરનો સાથ અને ગુજરાતમાં નરેશ પટેલનો એક મીડિયા એડવાઈઝર કે પ્લાનર તરીકે સમાવેશ થવાનો હતો પરંતુ કોંગ્રેસ અને પીકે વચ્ચે સમજૂતી ન સધાતા નરેશ પટેલનું પણ ગુજરાત કોંગ્રેસ સાથે કોકડું ગૂંચવાયેલું હતુ.

આ સાથે સંભાવના સેવાઈ રહી છે કે પીકેની સૂચક હાજરીમાં હવે નરેશ પટેલ પણ રાજકરણમાં ન પ્રવેશવાની જાહેરાત આવતીકાલની પ્રેસ વાર્તામાં કરી શકે છે.

Share: