આર્ટિકલ-370 મુદ્દે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા કાશ્મીરી પીડિતો, હસ્તક્ષેપ અરજી દાખલ કરી, 5 ઓગસ્ટે સુનાવણી

આર્ટિકલ-370 મુદ્દે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા કાશ્મીરી પીડિતો, હસ્તક્ષેપ અરજી દાખલ કરી, 5 ઓગસ્ટે સુનાવણી

નવી દિલ્હી, તા.27 જુલાઈ-2023, ગુરુવાર

સંસદમાં ઓગસ્ટ-2019માં આર્ટિકલ 370 નાબૂદ કરવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ હતી… ત્યારબાદ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો હતો. તો બીજીતરફ જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કરવાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરાઈ છે. આર્ટિકલ-370 હટાવવાના સમર્થનમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં 2 અલગ-અલગ હસ્તક્ષેપ અરજી દાખલ કરાઈ છે.

2 ઓગસ્ટે સુનાવણી

કાશ્મીરી હિંદુઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા યુથ 4 પનુન કાશ્મીર અને સામાજિક કાર્યકર્તા વીરેન્દ્ર કૌલે એડવોકેટ સિદ્ધાર્થ પ્રવીણ આચાર્ય મારફત તેમની અરજી દાખલ કરી છે. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ અને જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, બી.આર.ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બનેલી પાંચ જજોની બંધારણીય ખંડપીઠે આ અરજીઓ પરની સુનાવણી 2 ઓગસ્ટે હાથ ધરશે.

આર્ટિકલ-370 અને 35-એ અલગતાવાદ તરફ દોરી ગઈ

યુથ 4 પનુન કાશ્મીરે અરજીમાં જણાવ્યું છે કે, આર્ટિકલ-370 અને 35-Aએ બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કર્યું હતું…. આ કલમના કારણે ક્યારેય ભારતીય બંધારણની સર્વોપરિતાને માન્યતા મળી નથી. આ કલમો ભારતની એકતા અને સાર્વભૌમત્વ પર હુમલો હતા. આ બંને કલમો અલગતાવાદી વિચારોનું કારણ બન્યા, જેના કારણે નિર્દોષ કાશ્મીરી પંડિતોનો જાતીય સફાયો થયો…

આર્ટિકલ 370 ભેદભાવપૂર્ણ

સામાજિક કાર્યકર્તા વીરેન્દ્ર કૌલે અરજીમાં જણાવ્યું કે, આર્ટિકલ-370 ભેદભાવપૂર્ણ છે. આ કલમે નાગરિકોના બે ભાગ પાડ્યા… એક અગાઉના રાજ્ય જમ્મુ અને કાશ્મીર માટે અને બીજો બાકીના ભારત માટે…. આ કલમો રદ્દ કરીને કેન્દ્ર સરકારે તે ભેદભાવો દૂર કર્યા છે. આર્ટિકલ-370 અને સ્વાયત્તતાના મુદ્દાને એવી રીતે હેરફેર કરવા માટે બનાવ્યો હતો કે, જેમાં ભારતીય કરદાતાઓના પૈસાથી વર્ચ્યુઅલ ‘શેખડોમ અથવા સલ્તનત’ અથવા મિની પાકિસ્તાનનો ઉછેર કરી શકાય.

સુપ્રીમ કોર્ટે 11 જુલાઈએ કહી હતી મોટી વાત

સર્વોચ્ચ અદાલતે 11 જુલાઈએ કહ્યું હતું કે, કોર્ટ આર્ટિકલ-370ને નાબૂદી કરવા માટેની પડકારતી અરજીઓ પર 2 ઓગસ્ટથી રોજ સુનાવણી હાથ ધરશે. સોમવાર અને શુક્રવાર સિવાય દરરોજ સવારે 10.30 વાગ્યાથી સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉપરાંત, સુપ્રીમ કોર્ટે વિવિધ પક્ષકારોને લેખિત સબમિશન ફાઈલ કરવાની અંતિમ તારીખ 27 જુલાઈ નક્કી કરી હતી. ઉલ્લેખનિય છે કે, 5 મે, 2019 ના રોજ કેન્દ્રએ જમ્મુ અને કાશ્મીરના અગાઉના રાજ્યનો વિશેષ દરજ્જો રદ કર્યો અને તેને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યો હતો.

Share: