'આઝાદીની લડાઈમાં તમારા જૂથમાંથી એક કૂતરાએ પણ જીવ આપ્યો નથી', ભાજપ પર ખડગેનું વિવાદાસ્પદ નિવેદન

'આઝાદીની લડાઈમાં તમારા જૂથમાંથી એક કૂતરાએ પણ જીવ આપ્યો નથી', ભાજપ પર ખડગેનું વિવાદાસ્પદ નિવેદન
Image Source by – Mallikarjun Kharge, Twitter

નવી દિલ્હી, તા.19 ડિસેમ્બર-2022, સોમવાર

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ મુદ્દે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. ખડગે તરફથી ભારપૂર્વક કહેવાયું કે, આઝાદીની લડતમાં કોંગ્રેસના ઘણા નેતાઓએ પોતાનો જીવ આપ્યો, પરંતુ ભાજપવાળાના ઘરેથી આઝાદીની લડતમાં એક કુતરું પણ ન મર્યું.

કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, અમે દેશને આઝાદી અપાવી અને દેશની એકતા માટે ઈન્દિરા અને રાજીવ ગાંધીએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. અમારા પક્ષના નેતાઓએ પોતાનો જીવ આપ્યો, તમે શું કર્યું ? શું તમારા ઘરમાં દેશ માટે કોઈ કુતરું પણ મર્યું છે ? શું કોઈએ બલિદાન આપ્યું છે ? આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે તરફથી રાહુલ ગાંધીએ કરેલા નિવેદનનો પણ બચાવ કરાયો અને તેમણે સરકાર પર પણ ઘણા આક્ષેપો કર્યા.

ખડગેએ કોની તુલના ઉંદર સાથે કરી ?

તેમણે કહ્યું કે, સરહદ પર આપણા 20 જવાનો શહિદ થઈ ગયા અને મોદીજી-ચીનના શી જિનપિંગ 18 વખત મળ્યા, ઝુલા પર બેઠા. તમે લોકો મળી રહ્યા છો,પરંતુ અમે જ્યારે ચર્ચા કરવાનું કહીએ ત્યારે ચર્ચા કરવા તૈયાર જ નથી હોતા. રાજનાથસિંહે એક પેજનું નિવેદન આપ્યું અને નિવેદન આપી જતા રહ્યા. સરકાર શું કરી રહી છે. ખડગેએ કટાક્ષ કરતા એવું પણ કહી દીધું કે, બહાર તો શેરની જેમ વાત કરે છે, પરંતુ ચાલવાનું ઉંદર જેવું છે.

ચીન સાથે વિવાદ : કોંગ્રેસ V/s ભાજપ

હવે આ નિવેદન એટલા માટે અપાયું છે, કારણ કે હાલ ભાજપ દ્વારા કોંગ્રેસને સતત ઘેરવામાં આવી રહી છે. કોંગ્રેસ ચીન મુદ્દે રાજનીતિ કરી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. રાહુલ ગાંધી દ્વારા સેનાનું અપમાન કરાયું છે.

Share: