આજે સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા, PM મોદી લોકસભામાં જવાબ આપશે

આજે સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા, PM મોદી લોકસભામાં જવાબ આપશે

Image : Twitter

નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી 2023, બુધવાર

આજે પણ સંસદના બંને ગૃહોમાં જોરદાર હંગામો થવાની શક્યતાઓ છે. ગૌતમ અદાણી અને હિંડનબર્ગના રિપોર્ટ પર વિપક્ષ સરકાર પર આકરા પ્રહારો કરી શકે છે. બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના સંબોધન પર ગઈકાલે સંસદમાં જોરદાર ચર્ચા થઈ હતી. અદાણી કંપનીના શેરના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એકબીજા પર પ્રહારો પણ થયા હતા. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે સંસદમાં સરકારને ઘેરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપશે.

રાષ્ટ્રપતિના સંબોધન પર પીએમ મોદી જવાબ આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 3 વાગ્યે લોકસભાને સંબોધિત કરવાના છે. પીએમ મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપશે. આ અગાઉ ગઈકાલે રાહુલ ગાંધીએ લોકસભામાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અદાણી મુદ્દે પણ અનેક સવાલો પૂછ્યા હતા.

PM આવતીકાલે રાજ્યસભામાં જવાબ આપશે

આજે PM મોદી લોકસભામાં જવાબ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યસભામાં  રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપશે. પીએમ મોદી તમામ આરોપોનો કેવી રીતે જવાબ આપે છે તેના પર સૌની નજર રહેશે.

Share: