આંધ્રપ્રદેશની જગન સરકાર હિન્દુઓની આસ્થાની બનશે 'રક્ષક', રાજ્યમાં બનાવશે 3000 મંદિર

આંધ્રપ્રદેશની જગન સરકાર હિન્દુઓની આસ્થાની બનશે 'રક્ષક', રાજ્યમાં બનાવશે 3000 મંદિર

image : Wikipedia 

હિન્દુઓની આસ્થાની રક્ષા માટે આંધ્રપ્રદેશની જગન મોહન સરકારે રાજ્યમાં 3000 મંદિરોનું નિર્માણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. રાજ્ય સરકારે કહ્યું કે સમગ્ર પ્રાંતમાં નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. તીર્થો વિકસાવવામાં આવી રહ્યા છે. રાજ્યના ડેપ્યુટી સીએમ કોટ્ટુ સત્યનારાયણે કહ્યું કે સીએમ રેડ્ડીએ આ નિર્ણય લીધો છે જેથી હિન્દુ આસ્થાનું સંરક્ષણ અને પ્રચાર કરી શકાય. 

નબળાં વર્ગના લોકોના વિસ્તારોમાં મંદિર સ્થાપિત કરવાનું લક્ષ્ય 

સત્યનારાયણે કહ્યું કે હિન્દુઓની આસ્થાનું મોટાપાયે પ્રચાર કરવા માટે સરકારે નબળા વર્ગના લોકોના વિસ્તારોમાં મંદિરોના નિર્માણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. મંદિરોના નિર્માણ માટે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમના શ્રી વાણી ટ્રસ્ટ વતી દરેક મંદિર નિર્માણ માટે 10 લાખ રૂ. ખર્ચવામાં આવશે. 

હવે આ યાદીમાં 1465 મંદિરો ઉમેરાયા છે

પહેલા રાજ્યમાં 1330 મંદિરોના નિર્માણનું લક્ષ્ય રખાયું હતું. હવે આ યાદીમાં ૧૪૬૫ મંદિરો ઉમેરાયા છે. આ ઉપરાંત ધારાસભ્યોની માગના આધારે વધુ 200 મંદિરો બનાવાશે. બાકીના મંદિરોનું નિર્માણ સ્વયંસેવી સંસ્થાઓના સહયોગથી કરાશે. મંત્રીએ કહ્યું કે આખા રાજ્યમાં 978 મંદિરો બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે 25 મંદિરોના નિર્માણ માટે એક એન્જિનિયરને જવાબદારી સોંપાઈ છે. મંદિરોના પુનઃનિર્માણ માટે 270 કરોડ રૂ.નું બજેટ ફાળવાયું છે. ધાર્મિક કાર્યક્રમોના આયોજન માટે 238 કરોડ અને ધૂપ-દીપ માટે 28 કરોડની રકમ ફાળવાશે.   

Share: