અયોધ્યામાં રામમંદિરની નવી મનમોહક તસવીરો જાહેર કરાઈ, પૂરજોશમાં ચાલી રહ્યું છે નિર્માણકાર્ય

અયોધ્યામાં રામમંદિરની નવી મનમોહક તસવીરો જાહેર કરાઈ, પૂરજોશમાં ચાલી રહ્યું છે નિર્માણકાર્ય

image : Twitter

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે ગુરુવારે મંદિરના નિર્માણની નવીનતમ તસવીરો શેર કરી. ટ્વિટમાં તસવીરો શેર કરતા તેમણે જણાવ્યું કે શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભૂગર્ભના સ્તંભો પર બીમ લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. સાથે જ કેટલાક બીમ પણ લગાવી દેવાય છે.  મંદિર પર બીમ લગાવાયા બાદ હવે મંદિરનું સ્વરૂપ દેખાવા લાગ્યું છે. 

મહાસચિવ ચંપત રાય માહિતી આપતા રહે છે 

ઉલ્લેખનીય છે  કે, ચંપત રાય સમયાંતરે તેમના ટ્વિટર હેન્ડલ પર અયોધ્યામાં બની રહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણની અપડેટ શેર કરતા રહે છે. સામાન્ય લોકો પણ શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણની તસવીરો વીડિયો અને ફોટોસ દ્વારા જોઈ શકે છે. રામ મંદિરના નિર્માણની લેટેસ્ટ તસવીરો શેર કરતા ચંપત રાયે લખ્યું- ‘શ્રી જન્મભૂમિ મંદિરના ભૂગર્ભના થાંભલાઓ પર બીમ લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે.’

ડિસેમ્બર 2023 સુધીમાં ભગવાન રામનું ગર્ભગૃહ તૈયાર થઈ શકે છે 

એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બર 2023 સુધીમાં ભગવાન રામનું ગર્ભગૃહ તૈયાર થઈ જશે અને જાન્યુઆરી 2024 એટલે કે મકરસંક્રાંતિ પછી ગર્ભગૃહને ભક્તો માટે ખોલવામાં આવશે. જો કે મંદિરના બીજા માળે નિર્માણ કાર્ય ચાલુ રહેશે. રામ દરબાર ઉપરાંત અહીં માતા અન્નપૂર્ણા, ભગવાન શંકર, બજરંગબલી સહિત અનેક મંદિરો બનાવવામાં આવશે. શ્રીરામ મંદિરનું 50 ટકાથી વધુ બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ગર્ભગૃહની દિવાલોનું કામ પૂર્ણ થયું છે. ચંપત રાયના જણાવ્યા અનુસાર રામ મંદિરનો પહેલો તબક્કો ઓક્ટોબર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. પ્રાણ પ્રતિષ્ઠા 1 થી 14 જાન્યુઆરી, 2024 વચ્ચે ગમે ત્યારે થઈ શકે છે. તેમનું કહેવું છે કે રામલલાની મૂર્તિ 51 ઇંચની હશે, જે ગર્ભગૃહમાં બનેલા પ્લેટફોર્મ પર સ્થાપિત કરવામાં આવશે.

Share: