અમેરિકામાં તળાવમાં ડૂબવાથી ગુમ થયેલા 2 ગુજરાતી વિદ્યાર્થીઓના મૃતદેહ મળ્યા, એક અમદાવાદનો

અમેરિકામાં તળાવમાં ડૂબવાથી ગુમ થયેલા 2 ગુજરાતી વિદ્યાર્થીઓના મૃતદેહ મળ્યા, એક અમદાવાદનો

મોનરો તળાવમાં ડૂબી ગયેલા ઈન્ડિયા યુનિવર્સિટીમાં ભણતાં બે ગુજરાતી વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓમાં એકની ઓળખ 19 વર્ષીય સિદ્ધાંત શાહ અને બીજાની 20 વર્ષીય આર્યન વૈદ્ય તરીકે જાહેર કરાઈ હતી. તેમના મૃતદેહો 18 ફૂટ ઊંડે પાણીમાંથી મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શનિવારે અમેરિકાની ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં આ બંને ગુજરાતી વિદ્યાર્થીઓ મોનરો લેકમાં તરવા જતાં જ ડૂબી ગયાં હતાં. તેમના મિત્રોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ પાણીમાંથી ઉપર આવી શક્યા નહોતા. પાણીમાંથી તેમના મૃતદેહોને શોધવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતાં. તંત્ર દ્વારા તેમની બોડીને શોધવા સ્કૂબા ડાઈવર્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

બંને વિદ્યાર્થીઓ કેલે સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરતા હતાં

માહિતી અનુસાર સિદ્ધાંત શાહ મૂળ અમદાવાદનો છે અને જાણીતા બિલ્ડરનો દીકરો છે જે વિદેશ અભ્યાસ માટે ગયો હતો, જ્યારે આર્યન વૈધ ઓહાયોમાં રહેતો હતો. તેઓ તેમના મિત્રો સાથે મોનરો લેકમાં બોટીંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે બોટ રોકીને એન્કર પાણીમાં નાંખ્યું હતું અને પોતે પણ પાણીમાં તરવા માટે ગયા હતાં ત્યારે બંને જણા ડૂબ્યા હતાં. ઈન્ડિયાના યુનિવર્સિટીએ પણ આ ઘટનાને લઈને સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. યુનિવર્સિટીએ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, આ ઘટનાથી અમે ખૂબજ દુઃખી છીએ.બંને વિદ્યાર્થીઓ કેલે સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરતા હતાં. 

વિદ્યાર્થીઓએ લાઈફ વેસ્ટ પણ નહોતુ પહેર્યું

મોનરે કાઉન્ટી શેરીફ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી જેફ બ્રાઉને દાવો કર્યો હતો કે, આ ઘટના બની ત્યારે વિદ્યાર્થીઓ ડબલ ડેકર પાર્ટી રેન્ટલ બોટ પર હતાં. બોટમાંથી આલ્કોહોલ પણ મળી આવ્યો હતો . તંત્રએ એવો પણ દાવો કર્યો હતો કે, બોટમાં સવાર વિદ્યાર્થીઓએ લાઈફ વેસ્ટ પણ નહોતુ પહેર્યું. રેસ્ક્યૂ યુનિટે સ્કૂબા ડાઈવર્સનો ઉપયોગ કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈન્ડિયાના સ્ટુડન્ટ સર્વિસ દ્વારા બોટમાં રહેલા અન્ય વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે મદદ કરી હતી અને તેમને તેમના ઘર સુધી પહોંચાડ્યા હતાં. ત્યાર બાદ તેમનું કાઉન્સિલિંગ પણ કર્યું હતું. 

Share: