અમેરિકાથી ભારત આવ્યું NISAR સેટેલાઈટ, લોન્ચ બાદ કુદરતી આપત્તિઓ અંગે આપશે એલર્ટ

અમેરિકાથી ભારત આવ્યું NISAR સેટેલાઈટ, લોન્ચ બાદ કુદરતી આપત્તિઓ અંગે આપશે એલર્ટ

નવી દિલ્હી, તા.09 માર્ચ-2023, ગુરુવાર

અમેરિકી એરફોર્સે બુધવારે NASA અને ISRO દ્વારા સંયુક્ત રીતે બનાવાયેલા ઉપગ્રહ NISARને ભારતીય અવકાશ એજન્સીને સોંપ્યો છે. અવકાશ ક્ષેત્રમાં અમેરિકા અને ભારત સંબંધોમાં આ એક મહત્વની બાબત છે. 

આગામી વર્ષે લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા

આ અંગેની માહિતી અમેરિકી કોન્સ્યુલેટ જનરલ ચેન્નાઈએ ટ્વિટ કરીને જણાવી છે. ઉલ્લેખનિય છે કે, આ સેટેલાઈટ અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) વચ્ચેના સહયોગનું પરિણામ છે. ISRO દ્વારા NISARનો ઉપયોગ કૃષિ મેપિંગ અને ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારો માટે કરાશે. આ ઉપગ્રહને 2024માં આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી નજીકની ધ્રુવીય ભ્રમણકક્ષામાં લોન્ચ કરાય તેવી આશા છે.

જાણો NISARની તાકાત

નિસારને અમેરિકા અને ભારત દ્વારા સંયુક્ત રીતે બનાવાયું છે. તેમાં બે વિવિધ રડારો છે, જેમાં અમેરિકન વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત લાંબા અંતરની (L) અને ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા એસ-બેન્ડનો સમાવેશ થાય છે. ત્યારબાદ આ બંનેને જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં લઈ જવાયા છે. આ લેબોરેટરીમાં બંનેને એક યુનિટમાં ઈન્ટીગ્રેટ કરાયા છે. હવે તેને GSLV (જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોંચ વ્હીકલ) પર અંતિમ પ્રક્ષેપણ માટે ભારતમાં લવાયું છે. નિસારમાં પૃથ્વી પર સર્જાતા સૂક્ષ્મ ફેરફારોને જાણવાની ક્ષમતા છે અને તે કાળા વાદળો હોવા છતાં પણ માહિતી મેળવી શકે છે. નિસાર પૃથ્વીના ક્રસ્ત, બરફની ચાદર અને ઈકોસિસ્ટમ વિશે મહત્વપૂર્ણ માહિતી પુરી પાડશે. 

Share: