અમદાવાદ સહિત ભારતમાં બિઝનેસ કરનારાઓને સરકારે આપી મોટી ભેટ, જાણો શું લીધો નિર્ણય

અમદાવાદ સહિત ભારતમાં બિઝનેસ કરનારાઓને સરકારે આપી મોટી ભેટ, જાણો શું લીધો નિર્ણય

નવી દિલ્હી, તા.28 જુલાઈ-2023, શુક્રવાર

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ફરી ભારતીયોને મોટી ભેટ આપી છે. જો તમે પણ ભારતમાં બિઝનેસ કરી રહ્યા છો અને પોતાની કંપની છે તો તમારા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સીતારમણે કહ્યું કે, ભારતીય કંપનીઓ હવે વિદેશી સ્ટોક એક્સચેન્જ ઉપરાંત અમદાવાદમાં આવેલી ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC) પર સીધી લિસ્ટેડ થઈ શકશે.

કોવિડ પેકેજ દરમિયાન કરાઈ હતી જાહેરાત

સરકારે આ નિર્ણયની જાહેરાત ત્રણ વર્ષ પહેલા કોવિડ રાહત પેકેજ હેઠળ કરી હતી, જેને ત્રણ વર્ષ બાદ મંજૂરી મળી છે. આ નિર્ણય બાદ ભારતીય કંપનીઓ વિદેશમાં જુદા જુદા સ્ટોક માર્કેટ પર પોતાના શેરને લીસ્ટેડ કરવાની સાથે ભંડોળ પણ એકત્ર કરી શકશે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2020માં મહામારી દરમિયાન જાહેર કરાયેલા રોકડ પેકેજ હેઠળ આ મોટા નિર્ણય અંગેનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો.

સરકારે મોટો નિર્ણય કરતા મને ખુશી થઈ : સીતારમણ

સીતારમણે જણાવ્યું કે, સ્થાનિક કંપનીઓ હવે વિદેશમાં પણ પ્રત્યક્ષરૂપે ઋણપત્ર લિસ્ટેડ કરી શકે છે. મને આ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે, સરકારે IFSC એક્સચેન્જ પર લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓને ડાયરેક્ટ લિસ્ટિંગ કરવાની મંજૂરી આપવાનો પણ નિર્ણય લીધો છે.

ભારતીય કંપનીઓ માટેના આ નિર્ણયથી વૈશ્વિક મૂડી સુધી પહોંચી શકાશે

સીતારમણે વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા લેવાયેલો આ મોટો અને મહત્વનો નિર્ણય છે. કારણ કે, આ નિર્ણયથી હવે ભારતીય કંપનીઓને શ્રેષ્ઠ મૂલ્યાંકન સુવિધા મળશે ઉપરાંત વૈશ્વિક મૂડી સુધી પહોંચવામાં પણ મદદ મળશે. નાણામંત્રીએ કોર્પોરેટ બોન્ડ માર્કેટને મજબૂત કરવામાં મદદ કરવા માટે એએમસી રેપો સેટલમેન્ટ અને કોર્પોરેટ ડેટ માર્કેટ ડેવલપમેન્ટ ફંડના લોન્ચિંડ પ્રસંગે એક કાર્યક્રમાં આ બાબત જણાવી હતી.

Share: