'અજિત પવાર CM નહીં બને' ફડણવીસના આ નિવેદન પર તેમની NCPએ કહ્યું- ક્યારેક તો બનશે

'અજિત પવાર CM નહીં બને' ફડણવીસના આ નિવેદન પર તેમની NCPએ કહ્યું- ક્યારેક તો બનશે

image : Twitter

મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ વધી શકે છે. ખરેખર તો એનસીપી (અજિત પવાર જૂથ ) સતત અજિત પવારને મુખ્યમંત્રીના ચહેરા તરીકે રજૂ કરી રહી છે. તાજેતરમાં જ તેના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે પણ આ અંગે સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું કે ક્યારેક ને ક્યારેક તો અજિત પવાર સીએમ બનશે. જોકે હવે તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસ પહેલાં જ ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી હતી કે અજિત પવાર મુખ્યમંત્રી નહીં બને. 

ભવિષ્યમાં તક મળવાની આશા વ્યક્ત કરી 

પટેલનું કહેવું છે કે અજિત પાર્ટીના મોટા ચહેરા છે અને લાગણીશીલ થઇને કામ કરનારાઓને નેતૃત્વ કરવાની તક મળે છે. તેમણે કહ્યું કે જે લોકો કામ કરે છે, તેમને આજ નહીં તો કાલે કે તેના પછી તક તો મળે જ છે. અનેક લોકોને તક મળી છે.  ભલે આજે નહીં, કાલે નહીં, ભવિષ્યમાં તો ક્યારેક અજિત દાદાને તક મળશે. અમે આ દિશામાં કામ કરીશું. 

ડીલ શું થઈ હતી? 

એક અહેવાલ અનુસાર એનસીપીના સૂત્રોએ જણાવ્યું છે કે ભાજપના ટોચના નેતૃત્વએ અજિત પવારને સીએમ બનાવવાનો વાયદો કર્યો હતો પણ ધારાસભ્યો અને લોકસભામાં સાંસદોના સમર્થનની સંખ્યાની શરત રખાઈ હતી. ભાજપે પણ એનસીપીના બાકી રહેલા મંત્રીઓને મંત્રાલય આપવાની તૈયારી કરી છે. 

ફડણવીસે શું કહ્યું હતું? 

ફડણવીસે કહ્યું હતું કે અજિત પવાર એ વાતથી સારી રીતે વાકેફ છે કે તે મુખ્યમંત્રી નહીં બને અને બે જુલાઈ પહેલા અનેક બેઠકો દરમિયાન તેમને આ વાત જણાવી દેવાઈ હતી. ત્યારે અજિત પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના જૂથને મહારાષ્ટ્ર સરકારમાં સ્થાન અપાયું હતું. ફડણવીસે કહ્યું હતું કે એકનાથ શિંદે મુખ્યમંત્રી પદે જળવાઈ રહેશે.  

Share: