અજિત પવાર 'ખોટો સિક્કો' નીકળ્યો, ભાજપનો હિન્દુત્વ લોકોને વિભાજિત કરે છે : શરદ પવારના પ્રહાર

અજિત પવાર 'ખોટો સિક્કો' નીકળ્યો, ભાજપનો હિન્દુત્વ લોકોને વિભાજિત કરે છે : શરદ પવારના પ્રહાર

મહારાષ્ટ્રમાં રવિવારથી રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે જ્યારથી NCP નેતા અજિત પવારે બળવો કર્યો છે ત્યારથી જ રાજકારણમાં ગરમાગરમી જોવા મળી રહી છે. આજે બંને જૂથ માટે નિર્ણયનો દિવસ હતો ત્યારે શરદ પવારે અજિત પવાર અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. શરદ પવારે આજે કહ્યું કે અજિત પવાર ખોટો સિક્કો નીકળ્યો.

અજિત પવારને 31 ધારાસભ્યોએ સમર્થન આપ્યું

NCP નેતા અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવો કર્યો અને 2 જુલાઈના રોજ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારમાં જોડાયા બાદ તેમણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. તેમની સાથે NCPના 8 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. અજિત પવાર જૂથ સતત દાવો કરી રહ્યું છે કે તેમની પાસે 40 ધારાસભ્યોનું સમર્થન છે. આજે બેઠકમાં 31 ધારાસભ્યોએ તેમને સમર્થન આપ્યું હતું.  NCPમાં ભાગલા પડ્યા બાદ આજે નિર્ણયનો દિવસ છે. એક તરફ અજિત પવારે NCP ધારાસભ્યોની બેઠક બોલાવી છે, જ્યાં 31થી વધુ ધારાસભ્યો પહોંચ્યા છે. જ્યારે શરદ પવાર જૂથની બેઠકમાં લગભગ એક ડઝન ધારાસભ્યો જ પહોંચ્યા છે.

અમે સત્તાના ભૂખ્યા નથી : શરદ પવાર

અત્યાર સુધી ધારાસભ્યોને એકત્ર કરવાની રેસમાં અજિત પવાર તેમના કાકાને પાછળ રાખી રહ્યા હોય તેવું લાગે છે. આ દરમિયાન શરદ પવારે અજિત પવાર અને બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે શિવસેના સાથે જે થયું તે એનસીપી સાથે પણ કરવા માંગે છે. અમે સત્તાના ભૂખ્યા નથી, અમે લોકો માટે કામ કરતા રહીશું. આ ઉપરાંત તેમણે પીએમ મોદીનો વધુ ઉલ્લેખ કરતા કહ્યું કે મોદીએ મધ્યપ્રદેશમાં ભાષણ આપ્યું અને કહ્યું કે NCPએ 70 લાખ કરોડનું કૌભાંડ કર્યું છે. પવારે કહ્યું કે પીએમએ એનસીપી પર ઘણી ટિપ્પણીઓ કરી છે. જો NCP ભ્રષ્ટ પાર્ટી છે તો તેને સરકારમાં શા માટે સામેલ કરવામાં આવી. આ ઉપરાંત શરદ પવારે ભત્રીજા અજિત પવાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે અજિત ખોટો સિક્કો નીકળ્યો.

Share: