અજિત પવારના CM બનવાની ચર્ચા વચ્ચે ફડણવીસનું મોટું નિવેદન, કહ્યું- '2019ના હીરો શિંદ અને હવે…'

અજિત પવારના CM બનવાની ચર્ચા વચ્ચે ફડણવીસનું મોટું નિવેદન, કહ્યું- '2019ના હીરો શિંદ અને હવે…'

મુંબઈ, તા.03 ઓગસ્ટ-2023, ગુરુવાર

મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક ચર્ચાએ જોર પકડ્યું છે. ચર્ચા એવી છે કે, ચોમાસા બાદ અજિત પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની કમાન સંભાળશે. એટલું જ નહીં વિપક્ષી દળોના નેતાઓ પણ જુદી જુદી તારીખો બોલી રહ્યા છે… ત્યારે આ મામલે હવે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકી દીધું છે. ફડણવીસે વિધાનસભામાં તેમના અંદાજમાં સ્પષ્ટ કહી દીધું છે કે, મુખ્યમંત્રી પદ પર કોઈ ફેરફાર નહીં થાય… ફડણવીસે કહ્યું કે, 2019 બાદ ઘણા ફેરફારો થયા, જોકે હવે કોઈપણ ફેરફાર થવાનો નથી… આમ ફડણવીસે અજિત પવારના સીએમ બનવા પરની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકી દીધું છે…

ફડણવીસે કહ્યું, 2019માં ઘણા રેકોર્ડો બન્યા

દેવેન્દ્ર ફડણવીસે ગૃહમાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે અભિનંદન આપતા કહ્યું કે, 2019 એક ખાસ વર્ષ હતું… 2019માં ઘણા રેકોર્ડો બન્યા… એક રેકોર્ડ મુખ્યમંત્રી એકનાથ શિંદેને નામે છે. 2019ના હિરો એકનાથ શિંદે છે અને હવે બીજા હિરો અજિત પવાર છે… ઉદ્ધવ ઠાકરે સીએમ બન્યા, અજિત પવાર અગાઉ નાયબ મુખ્યમંત્રી બન્યા… અને ત્યારબાદ વિપક્ષના નેતા અને હવે નાયબ મુખ્યમંત્રી છે… રાજ્યની પ્રજાએ ઘણા ફેરફારો જોયા, જોકે હવે કોઈ ફેરફાર થવાના નથી…

એકનાથ શિંદે જ મહાયુતિના મુખ્યમંત્રી રહેશે

ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પહેલા જ મીડિયા સામે ફડણવીસે સ્પષ્ટ જણાવ્યું હતું કે, મહાયુતિના મુખ્યમંત્રી એકનાથ શિંદે જ રહેશે અને આ જ વાત તેમણે વિધાનસભામાં પણ સ્પષ્ટ કહી છે. તો બીજીતરફ તાજેતરમાં જ અજિત પવારે પુણેમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે જ રહેશે અને હું અને દેવેન્દ્ર ફડણવીસ બંને નાયબ મુખ્યમંત્રી તરીકે કામ કરી રહ્યા છીએ. દરમિયાન વિપક્ષના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ અને શિવસેના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે, ભાજપે અજિત પવારને મુખ્યમંત્રી પદની ઓફર આપી છે.

Share: